Connect with us

ગુજરાત

સિવિલમાં ‘નોડલ ઓફિસર’ના નામે તોતિંગ પગાર લેવાનું કારસ્તાન

Published

on

રાજ્યની અન્ય હોસ્પિટલોમાં PMJAY વિભાગમાં 30 હજારના પગારમાં ‘આરોગ્ય મિત્ર’ ફરજ બજાવે છે

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એ જ કામના ‘નોડલ ઓફિસર’ના નામે દર મહિને અધધધ 3 લાખનો પગાર

સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પીએમજેવાય)ના નામે કરોડોનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. પીએમજેવાયમાં નોડલ ઓફિસરના નામે ત્રણ તબીબો તોતીંગ પગાર લઈને દર્દીઓની સેવા કરવાના બદલે એસીમાં આરામથી ફરજ બજાવે છે અને સિવિલ હોસ્પિટલનાં અન્ય જુનીયર ડોકટરોના સહારે દર્દીઓને રામભરોસે મુકી દીધા છે. છેલ્લા પાંચ વર્ષથી સિવિલ હોસ્પિટલનાં પીએમજેવાયમાં નોડલ ઓફિસની પોસ્ટ ઉપર ફરજ બજાવતાં આ તબીબોએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો પગાર લીધો છે અને જે જગ્યાએ તેઓ ફરજ બજાવે છે ત્યાં આરોગ્ય મિત્રને ફીકસ 30 હજારના પગાર ઉપર ફરજ બજાવવાની હોય છે જેના બદલે નોડલ ઓફિસરના રૂપકડા હોદા હેઠળ 3 લાખ રૂપિયાના દરે મહિને પગાર મેળવે છે.


રાજ્યની અન્ય હોસ્પિટલમાં પીએમજેવાયમાં કયાંય પણ નોડલ ઓફિસરની કોઈ પોસ્ટ જ નથી. સામાન્ય રીતે નિયમ મુજબ આરએમઓના માર્ગદર્શન હેઠળ પીએમજેવાયમાં આરોગ્ય મિત્રની નિમણૂંક કરવામાં આવે છે જેમાં બીએચએમએસ અથવા એમબીબીએસ કરેલ કોઈપણને માસિક 30 હજાર રૂપિયાના ફીકસ પગાર પર નિમણૂંક આપવામાં આવે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પીએજેવાયમાં 3 મેડીકલ ઓફિસર આ નોડલ ઓફિસરના હોદા હેઠળ દર મહિને 3 લાખનો પગાર મેળવે છે અને છેલ્લા પાંચ વર્ષમાં એક પણ દર્દીની સારવાર કે તપાસ કરવાને લગતી કોઈપણ કામગીરી કરી નથી.સુત્રોના જણાવ્યા અનુસાર અન્ય સરકારી હોસ્પિટલમાં આ પીએમજેવાયની કામગીરી એએચએ અથવા વહીવટી સ્ટાફ કરે છે. જેમાં પોતાની મુળભૂત કામગીરી ઉપરાંત આમ કામગીરી નિભાવવાની હોય છે. જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલના આ ત્રણ મેડીકલ ઓફિસરોને કોના આર્શિવાદથી 30 હજાર રૂપિયાની પગારની પોસ્ટ પર નિમણૂંક આપીને 3 લાખ જેટલો તોતીંગ પગાર સરકાર પાસેથી મેળવવાની છુટ આપી છે.


માત્ર મલાઈ વાળી જગ્યા ઉપર જ ફરજ બજાવવાની ટેવ ધરાવતાં આ મેડીકલ ઓફિસર અગાઉ પણ વિવાદમાં આવી ચુકયા છે. પીએમજેવાય હોય કે પછી એકાઉન્ટ ઓફિસર તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. આ મેડીકલ ઓફિસરોને એસી ચેમ્બરમાં બેસીને સવાર અને સાંજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર લેતાં દર્દીઓના જરૂરી ડોકયુમેન્ટ ચકાસવાના હોય છે તેમજ આયુષ્યમાન કાર્ડ અંગેની કામગીરીનું નિરીક્ષણ કરવાનું હોય છે જે કામગીરી કોઈપણ જુનીયર તબીબ અથવા એમબીબીએસ કરેલ વ્યક્તિ કે પછી બીએચએમએસ પાસ કરનાર ફ્રેસર પણ કરી શકે છે.


રાજકોટ સિવાયની રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલમાં મેડીકલ ઓફિસરને આવી કામગીરી સોંપવામાં આવી નથી. આ પીએમજેવાયની કામગીરીમાં નિયમ મુજબ મેડીકલ ઓફિસરની જરૂર રહેતી નથી. ત્યાં ફીકસ પગારે આરોગ્ય મિત્રની નિમણૂંક કરવાની હોય છે ત્યારે રાજકોટમાં પીએમજેવાયમાં મેડીકલ ઓફિસરની નોડલ ઓફિસરના નામે તોતીંગ પગાર મેળવવાના કારસ્તાનમાં કોણ કોણ સંડોવાયેલું છે ? તે તપાસ થાય તો બહાર આવી શકે છે.

PMJAYમાં ટેન્ડર વિના કંપનીને ખટાવવાનું કારસ્તાન?

પીએમજેવાયમાં નોડલ ઓફિસરનો હોદ્દો ઉભો કરીને તોતીંગ પગાર મેળવતાં એક મેડીકલ ઓફિસરે આ પીએમજેવાયમાં દર્દીઓની સારવારના નામે એક જ કંપની પાસેથી ટેન્ડર વિના મેડીકલના સર્જિકલ સાધનો લેવાનું પણ કામ કર્યું છે. પીએમજેવાયના કાર્ડની દવા તથા ઈન્સ્ટુમેન્ટ જેમાં સર્જિકલ સાધનો તથા અન્ય દર્દીને લગતી વસ્તુઓમાં મનફાવે તેમ ખરીદી કરી ટેન્ડર વગર એક જ કંપની પાસેથી આવા સાધનો ખરીદી આ કંપનીને ખટાવવાનું કૌભાંડ પણ કર્યું છે. જો આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો આ મોટુ કૌભાંડ પણ બહાર આવી શકે છે.

વહીવટી સરળતા ખાતર નિમણૂક કરાઈ છે : તબીબી અધિક્ષક

આ બાબતે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ત્રિવેદી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, પીએમજેવાયમાં આરોગ્ય મિત્રની છેલ્લા દોઢ વર્ષથી નિમણૂક કરાઈ છે. સાથેસાથે વહીવટી કામમાં સરળતા ખાતર એક નોડલ ઓફિસર અને અન્ય બે એડિશનલ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જે કો-ઓર્ડિનેશનની કામગીરી કરે છે. આરોગ્ય મિત્ર ઉપરાંતના આ ત્રણ મેડિકલ ઓફિસરો પીએમજેવાયમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ટેન્ડર બાબતે તેમણે જણાવ્યું કે, પીએમજેવાયમાં જીએમસીએલ અને ત્યારબાદ રેટ કોન્ટ્રાકટરો પાસેથી જ આ સર્જિકલ સાધનો માટે ખરીદ કરવામાં આવે છે અને જો ત્યાં ન હોય તો સ્થાનિક પાસેથી ખરીદ થાય છે.

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

લીમડાલેન વિસ્તારમાં વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો: વીજપુરવઠો ખોરવાયો

Published

on

By

તંત્રએ તાત્કાલિક વીજપુરવઠો પૂર્વવત કરતા પ્રજાને રાહત


જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં કોંગ્રેસ ભુવનપાસે આવેલા ટ્રાન્સફોર્મર અને વીજ કેબલમાં આજે એકાએક સ્પાર્ક થયા પછી ભારે તણખા જર્યા હતા, અને ટ્રાન્સફોર્મર તેમજ કેબલ બળી જતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજતંત્રની ટુકડીએ વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મર તેમજ કેબલ વગેરે બદલીને યુદ્ધના ધોરણે કામગીરી પાર પાડી હતી, અને વીજ પુરવઠો રાબેતા મુજબ બનાવ્યો છે.

જામનગર ના લીમડા લાઈન વિસ્તાર માં કોંગ્રેસ ભવન ની બાજુમાં આવેલ 200 કેવી ટ્રાન્સફોર્મરસાથે જોડાયેલો 150 એમ.એમ.નો કેબલ વરસાદમાં ઇનસ્યુલેશન ડેમેજ થતાં બળી ગયો હતો, અને સ્પાર્ક સાથે ધડાકા થયા હતા.જ્યાં તાત્કાલિક અસરથી પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન વિભાગની ટીમ દ્વારા કેબલ બદલાવવાની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી કરવાની જરૂૂરિયાત ઊભી થઇ હોવાથી સલામતીના સાધનો અને સલામત કાર્યપદ્ધતિ સાથે ટેકનીકલ ટીમ તથા જુનિયર ઇજનેર ની હાજરીમાં સ્થળ પર આ ટ્રાન્સફોર્મર યુદ્ધના ધોરણે ટ્રાફિક વાળા વિસ્તારમાં ચાલુ વરસાદ દરમ્યાન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો તૂરતજ રાબેતા મુજબ બનાવી દેવાયો હતો.

Continue Reading

Trending