ગુજરાત
શાંત આંદોલનમાં પોલીસે બળપ્રયોગ કરતા ઝપાઝપી-ટીંગાટોળી
શાંતિપૂર્ણ બંધ કરાવતા કોંગ્રેસના 30 કાર્યકરોની અટકાયત થતાં ચક્કાજામ
બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરોને પોલીસે ઉપાડી લેતા વાતાવરણ તંગ, પોલીસ સામે આક્રોશ
ટીઆરપી ગેમઝોન આગકાંડની ઘટનાને એક માસ પૂર્ણ થતાં મૃતકોની શ્રધ્ધાંજલીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ મામલે બંધનું એલાન અપાયું હોય સવારથી જ રાજકોટની મોટાભાગની દુકાનો અને બજારો બંધ રહી હતી. ત્યારે કાલાવડ રોડ ઉપર કેટલીક દુકાનો ખુલી હોય તેને શાંતિપૂર્ણ રીતે બંધ કરાવવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ધરાર 30 જેટલા કાર્યકરોને પોલીસે અટકાયત કરી હતી. જેને લાઈને કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી. પીડીત પરિવારને ન્યાય માટે બંધનું એલાન અપાયું હોય જેમાં મોટાભાગના લોકો સહભાગી થયા હતાં. શાંતિપૂર્ણ રીતે બંધ કરાવવા નિકળેલા કોંગ્રેસના કાર્યકરો અને એનએસયુઆઈના આગેવાનોને પોલીસે બળજબરીથી પીસીઆર વેનમાં બેસાડી દીધા હતાં. વાતાવરણ તંગ બન્યું હતું. અને કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડી દીધા હતા અને થોડીવાર માટે આ મુદ્દો ભારે આક્રમક બન્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થતાં અન્ય કાર્યકરો રસ્તા ઉપર બેસી ચક્કાજામ કરતા કાલાવડ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વધારાની પોલીસ બોલાવી પડી હતી અને રોડ ઉપર બેસી ગયેલા કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના અને એનએસયુઆઈના કાર્યકરને ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં.
રાજકોટમાં બનેલા અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે આ ઘટનાને એક માસ પુર્ણ થતાં હવે કોંગ્રેસે આજે અડધા દિવસના બંધનું એલાન આપ્યું હોય જેમાં મોટાભાગના વેપારીઓએ સમર્થન આપ્યું હતું. મૃતકોને ન્યાય અને તેની આત્માની શાંતિ માટે કોંગ્રેસે કરેલી અપીલને વેપારીઓ અને શાળા-કોલેજના સંચાલકોએ માન્ય રાખી બંધને સમર્થન આપ્યું હતું. સવારથી બંધના એલાનના પગલે જ્યાં દુકાનો અને બજારો ખુલી હોય ત્યાં કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી બંધ કરાવવા માટેની કાર્યવાહી કરાઈ હતી. દરમિયાન રાજકોટના કાલાવડ રોડ ઉપર નકલંક ચા સહિતની દુકાનો ખુલી હોય જેને બંધ કરાવવા ગયેલા કોંગ્રેસના અને એનએસયુઆઈના 30 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
કોંગ્રેસ દ્વારા બંધના એલાનને પગલે પોલીસ દ્વારા પણ સતર્ક બની શહેરભરમાં પેટ્રોલીંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા બળજબરીથી કરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવો પોલીસ અધિકારીઓના આદેશને પગલે સ્થાનિક પોલીસ દ્વારા પણ તેની તકેદારીના ભાગરૂપે કોઈ બળજબરી પૂર્વક બંધ ન કરાવે તેની કાળજી રાખી હતી. ત્યારે કાલાવડ રોડ ઉપર શાંતિપૂર્ણ રીતે બંધ કરાવતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે ઉપાડી લેતા મામલો ઉગ્ર બની ગયો હતો અને આક્રમક રીતે કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસ સાથે બાથભીડી હતી. બન્ને વચ્ચે થયેલી ઝપાઝપીથી ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. જેને પગલે ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા તથા એસીપી રાધિકા ભારાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને 6 જેટલી પીસીઆર કાલાવડ રોડ ખાતે દોડી ગઈ હતી.
પોલીસે કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર સામે દુકાન બંધ કરાવતા કોંગ્રેસના 8થી 10 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરતા અન્ય કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને રોષ પૂર્વક સુત્રોચ્ચારો કરી પોલીસવાન આગળ રસ્તામાં જ સુઈ ગયા હતાં જેના કારણે રસ્તો બ્લોક થઈ જતાં અન્ડરબ્રીજથી કાલાવડ રોડ તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતાં. શરૂઆતમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત માટે માત્ર પીઆઈ અને ત્રણ માણસો પહોંચ્યા હોય જ્યારે કોંગ્રેસના કાર્યકરોની સંખ્યા વધી જતાં વધારાની પોલીસ બોલાવવામાં આવી હતી અને ટીંગાટોળી કરીને કોંગ્રેસના કાર્યકરોને ધરાર પોલીસવાનમાં બેસાડવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની આ કામગીરીનો પણ વિરોધ કર્યો હતો. કાલાવડ રોડ ઉપર બનેલા આ બનાવથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ ભાજપના ઈશારે કોંગ્રેસના કાર્યકરોને ધરાર અટક કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ગાંધીગ્રામમાં અક્ષર મંદિર સ્કૂલ બંધ કરાવતા કોંગ્રેસના આગેવાનો
રાજકોટના નાનામૌવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં તંત્રના પાપે લાગેલી ભીષણ આગમાં 27 માનવ જીંદગી બળીને ખાખ થઈ ગઈછે. ત્યારે આજે પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિતે તંત્રની ઘોર બેદરકારીના કારણે કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેર બંધનું એલાન આપ્યું હતું. જેમાં સવારે ગાંધીગ્રામ અક્ષર મંદિરસ્કૂલ ચાલુ હોય સ્કૂલ સંચાલકોને વિનંતી કરતા સ્કૂલ બંધ કરી દેવામાં આવી હતી.
રાજકોટના નાનામવા પાસે આવેલ ટીઆરપી ગેમઝોનમાં એક માસ પહેલા ભીષણ આગ લાગી હતી. જેમાં 9 બાળકો સહિત 27 વ્યક્તિ આગમાં ભડથુ થઈ ગયા હતાં. પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાની ભ્રષ્ટ નીતિના કારણે કોઈ પણ જાતના લાયસન્સ કે ફાયર સેફ્ટી વગર ધમધમતા ગેમઝોનમાં આગ લાગી હતી. જેમાં મહાનગરપાલિકા અને પોલીસ તંત્રની બેદરકારી બહાર આવી હતી. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં અલગ અલગ સીટ અને ગેમની તપાસ અર્થે રચના કરવામાં આવી હોય જેના તપાસનાં અહેવાલમાં મોટા માથાઓને ક્લિનચીટ આપી દેતા કોંગ્રેસ દ્વારા ગેમઝોન અગ્નિકાંડની પ્રથમ માસીક પૂણ્યતિથિ નિમિતે આજે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું.
ગુજરાત
બોટાદ તાલુકા પંચાયતમાં ગાયો સાથે માલધારીઓએ કર્યો ઘેરાવ
બોટાદના માલધારીઓ ગૌચરની જમીન માટે જંગે ચડ્યાં. ગઢડામાં આવેલા મેઘવડિયા ગામમાં જમીન માફિયાઓએ ગૌચરની જમીન પર છેલ્લા 3 વર્ષથી કબજો કરી લેતાં હવે માલધારીઓ વિફર્યા છે. ત્યારે અનેક રજૂઆત છતાં તંત્રએ કોઈ ધ્યાન ન દેતા માલધારીઓએ અનોખો વિરોધ કરીને બહેરા તંત્રના કાને પોતાની માગ પહોંચાડવા પ્રયાસ કર્યો છે.
બોટાદના ગઢડામાં આવેલા મેઘવડિયા ગામની અંદાજે 40 હેક્ટર જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લીધો છે. છેલ્લા 3 વર્ષથી કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ વિરૂૂદ્ધ માલધારીઓએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ. ત્યારે અંતે તંત્રની આળસથી કંટાળેલા માલધારીઓ પોતાના માલઢોર સાથે નીકળ્યા અને 8-10 કિલોમીટર પગપાળા ચાલીને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા અને પોતાના માલઢોર કચેરીમાં જ છૂટા મુકી દીધા.
મેઘવડીયા ગામથી અંદાજે 9 કિલોમીટર ગાયો હંકારી 300થી 400 ગાયો સાથે માલધારીઓ ગઢડાની તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. ત્યાં પહેલા માલધારીઓને કચેરીમાં પ્રવેશવા ન દેતા ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ તંત્ર માટે પણ માલધારીઓને કંટ્રોલ કરવા એક પડકાર સમાન બની જતાં થોડીવાર માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. તેમ છતાં ગૌચરની જમીન બચાવવા નીકળેલા માલધારીઓ માન્યા જ નહીં અને જબરદસ્તી કચેરીનો ગેટ ખોલીને કચેરીના પ્રાંગણમાં જ અડિંગો જમાવીને બેસી ગયા હતા.
તાલુકા વિકાસ અધિકારીએ માલધારીઓને બોલાવ્યા અને તેમની રજૂઆત સાંભળી હતી. ત્યારે માલધારીઓની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીએ દસ જ દિવસમાં આ મામલે સુખદ નિરાકરણ લાવવાની બાહેધરી આપી છે.
ગુજરાત
મહુવા તાલુકાના નૈય ગામે બે કલાક બંધ રહેલા મકાનમાંથી 14 લાખની રોકડ-દાગીનાની ચોરી
આઘેડ પત્નીને બસ સ્ટેશન મુકવા જતા હતા ત્યારે ચાર શખ્સોએ પુછયુ હતુ કે કયાં જાવ છો? તપાસ શરૂ
મહુવા તાલુકાના નૈપ ગામમાં રહેતા એક આધેડ મહુવા ખાતે તેમના પત્નિને લેવા માટે ગયા હતા અને તેમનું મકાન માત્ર બે કલાક સુધી બંધ રહેતા તસ્કરોએ આ સમયગાળામાં મકાનમાંથી રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. મહુવા રૂૂરલ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભટુરભાઇ બોઘાભાઇ જોળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પત્નિ પિયર ગયા હતા અને તા.30મીના રોજ તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, મહુવા બસ સ્ટેન્ડ ખાતે તેઓ રાત્રે આઠ વાગે આવશે એટલે તમે લેવા માટે આવજો એટલે મકાન બંધ કરી આધેડ તેમના પત્નિને લેવા માટે બાઇક લઇને ગયા હતા.
રસ્તામાં ગામના ત્રણ ચાર લોકોએ ફરિયાદીને તમે ક્યાં જાવ છો ?
તેમ પુછતા ફરિયાદીએ પત્નિને લેવા માટે મહુવા જાવ છુ તેમ જણાવ્યું હતું અને આમ, રાત્રે દસ વાગે ફરિયાદી તેમના પત્નિને લઇને ઘરે પરત આવ્યાં હતા. ઘરે આવી બન્નેએ નાસ્તો કર્યો હતો અને ત્યાર બાદ ફરિયાદી ગોદડુ લેવા માટે રૂૂમમાં ગયા ત્યારે તેમણે જોયું હતું કે, રૂૂમનો નકુચો તુટેલો છે એટલે તેમણે દરવાજો ખોલી રૂૂમમાં તપાસ કરતા પટારાનો નકુચો પણ તુટેલો હતો. પટારામાં તપાસ કરવામાં આવતાં ફરિયાદી ભટુરભાઇએ સ્ટીલના બે ડબામાં મુકેલી અંદાજે રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી.
ગુજરાત
પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળ્યું
જેલમાંથી એમ.ડી.સાગઠિયાનો કબજો લીધા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગર એસબીની ટીમનું ટ્વિન ટાવરમાં સર્ચ ઓપરેશન
રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસમાં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. આ અંગે એસીબીએ સાગઠીયાની વિશેષ પુછપરછ શરૂ કરી છે.
રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.
અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા પાંચ કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા વિરૂધ્ધ તપાસ કરી રહેલી એસીબીએ આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ છે. જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો લઈ તેને સાથે રાખી તેની જ સીલ કરાયેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ અને સોનુ મળી આવ્યું હોય તેમજ હજુ પણ તેના અન્ય બેંક લોકરો અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.
સાગઠિયાની ઓફિસમાંથી થોકબંધ દસ્તાવેજો મળ્યા: કાળાકારોબારનો થશે પર્દાફાશ
સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન થોકબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટમાં અનેક નામાંકીત બિલ્ડરો સાથે આર્થિક વહીવટ કરનાર પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસરને ત્યાંથી મળેલા આ થોકબંધ દસ્તાવેજો તેના કાળાકારોબારનો પર્દાફાશ કરશે. સાગઠીયાના ભ્રષ્ટાચારની ચર્ચાઓ છડે ચોક થઈ રહી છે ત્યારે આ મામલે એસીબી તપાસ કરશે તો રાજકોટના બિલ્ડરો સાથેની તેની સાંઠગાંઠના પુરાવા એસીબીને મળી શકે છે. હાલ જેલમાંથી એસીબીએ સાગઠીયાનો કબજો લઈ તેની પુછપરછ શરૂ કરી છે ત્યારે આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
-
ગુજરાત7 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
ક્રાઇમ6 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર6 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
-
પોરબંદર6 months ago
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો
-
પોરબંદર7 months ago
પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત