ગુજરાત
રાજ્યના 80 હજાર સ્કૂલવાન ચાલકોની બેમુદતી હડતાળ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/school-1-1.jpg)
ફાયર એનઓસી, ટેક્સી પાસિંગ સહિતના નિયમોમાં આરટીઓના જડવલણથી સ્કૂલવાન એસોસિએશન લડતના માર્ગે
નોકરી કરતા વેપારી વાલીઓની મુશ્કેલી વધી: સમય આપવા ચાલકોની માગણી
શાળાઓ શરૂ થતાની સાથે જ ફાયર એનઓસી અને પાર્સિંગ સહિતના આરટીઓના નિયમનો ભંગ થતાં સ્કૂલવર્ધીના વાહનો પર તવાઈ બોલાવવામાં આવી છે. જેની સામે વાન-રીક્ષા ચાલકોમાં રોષ ફેલાયો હતો અને સમય માંગવામાં આવ્યો હતો પરંતુ આરટીઓ અને ટ્રફિકના જડ વલણથી કંટાળેલા સ્કૂલવાન એસોસિએશન દ્વારા આજથી રાજ્યભરમાં અચોક્કસ મુદતની હડતાલ પાડીદેવામાં આવી છે. સ્કૂલવાન ચાલકોની હડતાલથી નોકરી કરતા દંપતિ અને વેપારી વર્ગના વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સવારથી જ શાળાઓ બહાર અંધાધુંધીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યની શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં જ સ્કૂલ વાન એસોસિએશનની હડતાળ શરુ થઇ છે જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગિરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે. એસોસિએશનની માગ છે કે જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
આજથી રાજ્યમાં સ્કૂલની બહાર સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા માટે RTOઅને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવ યોજાઇ છે પણ તે પહેલાં જ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે પરિણામે આજે સવારથી રાજ્યની 80 હજાર સ્કૂલવાનના પૈડા થંભી ગયા છે. RTOઅને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવમાં નિયમોનો ભંગ કરનાર સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલ વર્ધીના વાહનોના ફાયર સેફ્ટી, પાસીંગ, ફિટનેસ સર્ટિફિકેટ સહિત ચેક કરવામાં આવશે.
બીજી તરફ હડતાળ પર ઉતરેલા સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા સરકાર પાસે 3 મહિનાની મુદત માંગવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અગાઉ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાવમાં પ્રતિ કિમી 100થી 200 રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સ્કૂલ વાહન ચાલકોએ કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાનો ઉકેલ ન વતાં આખરે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે..
વાન ચાલકોના આ નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે. સવારથી જ વાલીઓને પોતાના બાળકને જાતે સ્કૂલમાં જવાની નોબત આવી છે. વાલીઓએ આ હડતાળને વખોડી કાઢી છે. વાલીઓનો મત છે કે, સ્કૂલવાન ના સંચાલકોએ વાલી અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવો અને તેમની ચિંતાને ધ્યાનમાં રાખવી જોઇએ તથા નિયમ અનુસરીને સર્વિસ આપતા રહેવી જોઇએ.
વડોદરાના ચાલકો નહીં જોડાતા હડતાળમાં તડા
વડોદરા શહેરમાં આજે સ્કૂલ વાનચાલકોએ હડતાળનું એલાન કર્યું હતું. જો કે, સ્કૂલ વાનચાલકોની હડતાળની અસર જોવા મળી નહોતી. સવારથી જ સ્કૂલ વાનચાલકો બાળકોને લેવા માટે પહોંચી ગયા હતા, જેને કારણે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ વાનચાલકોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે હડતાળ પર ગયા નથી. સ્કૂલ વાનચાલક વિશાલભાઈ દળવીએ જણાવ્યું હતું કે, જો અમે હડતાલ પાડી દઈશું તો વિદ્યાર્થીઓનું ભણતર બગડશે, જેથી વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે અમે સ્કૂલ વાન ચાલુ રાખી છે. આ ઉપરાંત અમે જો હડતાળ પર જઈશું તો વાલીઓ પણ હેરાન થશે. જેથી અમે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં હડતાળ પર ગયા નથી. ભવિષ્યમાં અમને જરૂૂર લાગશે તો અમે હડતાળમાં જોડાઈશું. પણ હાલ પૂરતા અમે હડતાળમાં જોડાયેલા નથી.
ગુજરાત
બોટાદ તાલુકા પંચાયતમાં ગાયો સાથે માલધારીઓએ કર્યો ઘેરાવ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/42.png)
બોટાદના માલધારીઓ ગૌચરની જમીન માટે જંગે ચડ્યાં. ગઢડામાં આવેલા મેઘવડિયા ગામમાં જમીન માફિયાઓએ ગૌચરની જમીન પર છેલ્લા 3 વર્ષથી કબજો કરી લેતાં હવે માલધારીઓ વિફર્યા છે. ત્યારે અનેક રજૂઆત છતાં તંત્રએ કોઈ ધ્યાન ન દેતા માલધારીઓએ અનોખો વિરોધ કરીને બહેરા તંત્રના કાને પોતાની માગ પહોંચાડવા પ્રયાસ કર્યો છે.
બોટાદના ગઢડામાં આવેલા મેઘવડિયા ગામની અંદાજે 40 હેક્ટર જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લીધો છે. છેલ્લા 3 વર્ષથી કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ વિરૂૂદ્ધ માલધારીઓએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ. ત્યારે અંતે તંત્રની આળસથી કંટાળેલા માલધારીઓ પોતાના માલઢોર સાથે નીકળ્યા અને 8-10 કિલોમીટર પગપાળા ચાલીને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા અને પોતાના માલઢોર કચેરીમાં જ છૂટા મુકી દીધા.
મેઘવડીયા ગામથી અંદાજે 9 કિલોમીટર ગાયો હંકારી 300થી 400 ગાયો સાથે માલધારીઓ ગઢડાની તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. ત્યાં પહેલા માલધારીઓને કચેરીમાં પ્રવેશવા ન દેતા ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ તંત્ર માટે પણ માલધારીઓને કંટ્રોલ કરવા એક પડકાર સમાન બની જતાં થોડીવાર માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. તેમ છતાં ગૌચરની જમીન બચાવવા નીકળેલા માલધારીઓ માન્યા જ નહીં અને જબરદસ્તી કચેરીનો ગેટ ખોલીને કચેરીના પ્રાંગણમાં જ અડિંગો જમાવીને બેસી ગયા હતા.
તાલુકા વિકાસ અધિકારીએ માલધારીઓને બોલાવ્યા અને તેમની રજૂઆત સાંભળી હતી. ત્યારે માલધારીઓની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીએ દસ જ દિવસમાં આ મામલે સુખદ નિરાકરણ લાવવાની બાહેધરી આપી છે.
ગુજરાત
મહુવા તાલુકાના નૈય ગામે બે કલાક બંધ રહેલા મકાનમાંથી 14 લાખની રોકડ-દાગીનાની ચોરી
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/content_image_7e70010b-3906-4667-9457-1b80dc1f7a3e.gif)
આઘેડ પત્નીને બસ સ્ટેશન મુકવા જતા હતા ત્યારે ચાર શખ્સોએ પુછયુ હતુ કે કયાં જાવ છો? તપાસ શરૂ
મહુવા તાલુકાના નૈપ ગામમાં રહેતા એક આધેડ મહુવા ખાતે તેમના પત્નિને લેવા માટે ગયા હતા અને તેમનું મકાન માત્ર બે કલાક સુધી બંધ રહેતા તસ્કરોએ આ સમયગાળામાં મકાનમાંથી રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. મહુવા રૂૂરલ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભટુરભાઇ બોઘાભાઇ જોળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પત્નિ પિયર ગયા હતા અને તા.30મીના રોજ તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, મહુવા બસ સ્ટેન્ડ ખાતે તેઓ રાત્રે આઠ વાગે આવશે એટલે તમે લેવા માટે આવજો એટલે મકાન બંધ કરી આધેડ તેમના પત્નિને લેવા માટે બાઇક લઇને ગયા હતા.
રસ્તામાં ગામના ત્રણ ચાર લોકોએ ફરિયાદીને તમે ક્યાં જાવ છો ?
તેમ પુછતા ફરિયાદીએ પત્નિને લેવા માટે મહુવા જાવ છુ તેમ જણાવ્યું હતું અને આમ, રાત્રે દસ વાગે ફરિયાદી તેમના પત્નિને લઇને ઘરે પરત આવ્યાં હતા. ઘરે આવી બન્નેએ નાસ્તો કર્યો હતો અને ત્યાર બાદ ફરિયાદી ગોદડુ લેવા માટે રૂૂમમાં ગયા ત્યારે તેમણે જોયું હતું કે, રૂૂમનો નકુચો તુટેલો છે એટલે તેમણે દરવાજો ખોલી રૂૂમમાં તપાસ કરતા પટારાનો નકુચો પણ તુટેલો હતો. પટારામાં તપાસ કરવામાં આવતાં ફરિયાદી ભટુરભાઇએ સ્ટીલના બે ડબામાં મુકેલી અંદાજે રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી.
ગુજરાત
પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળ્યું
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/content_image_29899dbe-f7a6-476b-bbf9-a8793ba8a36c-1.jpeg)
જેલમાંથી એમ.ડી.સાગઠિયાનો કબજો લીધા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગર એસબીની ટીમનું ટ્વિન ટાવરમાં સર્ચ ઓપરેશન
રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસમાં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. આ અંગે એસીબીએ સાગઠીયાની વિશેષ પુછપરછ શરૂ કરી છે.
રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.
અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા પાંચ કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા વિરૂધ્ધ તપાસ કરી રહેલી એસીબીએ આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ છે. જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો લઈ તેને સાથે રાખી તેની જ સીલ કરાયેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ અને સોનુ મળી આવ્યું હોય તેમજ હજુ પણ તેના અન્ય બેંક લોકરો અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.
સાગઠિયાની ઓફિસમાંથી થોકબંધ દસ્તાવેજો મળ્યા: કાળાકારોબારનો થશે પર્દાફાશ
સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન થોકબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટમાં અનેક નામાંકીત બિલ્ડરો સાથે આર્થિક વહીવટ કરનાર પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસરને ત્યાંથી મળેલા આ થોકબંધ દસ્તાવેજો તેના કાળાકારોબારનો પર્દાફાશ કરશે. સાગઠીયાના ભ્રષ્ટાચારની ચર્ચાઓ છડે ચોક થઈ રહી છે ત્યારે આ મામલે એસીબી તપાસ કરશે તો રાજકોટના બિલ્ડરો સાથેની તેની સાંઠગાંઠના પુરાવા એસીબીને મળી શકે છે. હાલ જેલમાંથી એસીબીએ સાગઠીયાનો કબજો લઈ તેની પુછપરછ શરૂ કરી છે ત્યારે આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
-
ગુજરાત7 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
ક્રાઇમ6 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર6 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
-
પોરબંદર6 months ago
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો
-
પોરબંદર7 months ago
પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત