Connect with us

rajkot

પશુ રજિસ્ટ્રેશન માટે છેલ્લા બે દિવસ, મનપામાં પશુપાલકોનો ભારે ધસારો

Published

on

પશુ નિયંત્રણધારા હેઠળ રાજ્યસરકાર દ્વારા નવું નોટીફીકેશન જારી કરી 31 ડિસેમ્બર સુધીમાં શહેરી વિસ્તારમાં રાખવામાં આવતા તમામ પશુઓ તેમજ જગ્યાનું રજીસ્ટ્રેશન કરાવી લેવાની સુચના અપાઈ છે. અને તા. 1 જાન્યુઆરીથી દરેક મહાનગરપાલિકાને પશુ નિયંત્રણ કાયદા હેઠળ કડક અમલવારી કરવાના નિર્દેશ જારી કર્યા છે. જેના કારણે રાજકોટ શહેરમાં પશુઓ સાથે વસવાટ કરતા અને રજીસ્ટ્રેશન ન થયું હોય તેવા પશુપાલકોએ તા. 31ને છેલ્લા બે દિવસ બાકી હોય કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરી ખાતે ભારે ધસારો બોલાવતા અફરાતફરી સર્જાઈ હતી. તા. 31ના રોજ રવિવાર આવતો હોય હવે ફક્ત કાલનો એક જ દિવસ બાકી હોયકાલે મોડી સાંજ સુધી ધસારો રહેશે તેમ ઢોર પકડ પાર્ટીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના ઢોરપકડ પાર્ટી વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ પશુ નિયંત્રણ કાયદાની અમલવારી તા. 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવનાર છે. નવા નોટીફીકેશન મુજબ દરેક પશુપાલકોએ પોતાને ત્યાં રાખવામાં આવેલ પસુનું રજીસ્ટ્રેશન કરાવી ટેગ પહેરાવી ફરજિયાત છે તેવી જ રીતે જે જગ્યામાં પસુ રાખેલા હોય તે જગ્યા નિયમ મુજબ હોવી તથા આ જગ્યાનું પણ રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તેવી જ રીતે શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી 24 કલાક ચાલુ રાખવામાં આવે અને પકડાયેલ પશુને ભારે દંડ લઈને છોડવામાં આવે તથા જો પશુપાલક નિયત સમયમાં પોતાના પશુને છોડાવવા ન આવે તો આ પ્રકારના પશુઓની અપસેટ પ્રાઈઝ નક્કી કરી પશુઓની જાહેર હરરાજી કરવામાં આવે તે સહિતના નિયમોની કડક અમલવારી કરવાના આદે અપાયા છે. જેના કારણે મનપાની ઢોર પકડ પાર્ટી દ્વારા 1 જાન્યુઆરીથી કડક ઝુંબેશ શરૂ કરવામાં આવશે જેના કારણે હવે બાકી રહી ગયેલા પશુપાલકો પોતાના પશુઓના રજીસ્ટ્રેશન ટેગ અને જગ્યાની નોંધણી માટે આજે સવારે 11 વાગ્યાથી સેન્ટ્રલજોન કચેરી ખાતે લાઈનો લગાવી હતી.
શહેરમાં રખડતા પસુઓ નિયંત્રણ કાયદા હેઠળ 1 જાન્યુઆરીથી મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં ાવનાર છે. એક સપ્તાહ પહેલા નવા નોટીફીકેશન મુજબની જાહેરાત મનપાએ કરેલ અને પશુપાલકોને રજીસ્ટ્રેશન કરાવી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે શહેરમાં દિવસ અને રાત અલગ અલગ ટીમો દ્વારા રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. રખડતા પશુઓ પકડાય અને આ પશુનું રજીસ્ટ્રેસન ન થયું હોય અથવા ટેગ પહેરાવેલ ન હોય ત્યારે આ પશુને છોડવામાં આવતા નથી. આથી હવે પશુપાલકો રહી રહીને જાગ્યા હોય તેમ પોતાએ રાખેલા પશુઓ તેમજ વધારેલા પશુનું રજીસ્ટ્રેશન કરાવવા અને પશુઓ રાખવાની જગ્યાની નોંધણી સહિતની કાર્યવાહી માટે આજે કોર્પોરેશને મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતાં. જેના કારણે સેન્ટ્રલઝોન કચેરી ખાતે પશુપાલકોની સરળતા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં વધુ સ્ટાફને બેસાડી કામગીરી શરૂ કરવામાં આવી હતી. છતાં આ કાર્યવાહી સાંજ સુધી ચાલુ રહેશે તેમ જાણવા મળેલ છે.

પશુઓની હરાજીનો તખ્તો તૈયાર

શહેરમાં રખડતા ઢોરને પકડી મહાનગરપાલિકાના ડબ્બે પુરવામાં આવે છે. ત્યાર બાદ નિયત સમયમાં પશુપાલક આ પશુને છોડાવવા ન આવે તો પશુઓની હરાજી કરવાનો નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે. આથી છોડાવવા ન આવ્યા હોય તેવા પશુપાલકોના પશુઓની હરાજી માટે મહાનગરપાલિકાએ કમિટિ તૈયાર કરી છે અને ટુંક સમયમાં તમામ પશુની વિગત સાથે રિપોર્ટ કમીટિમાં મુકવામાં આવશે. જેના આધારે પશુઓની અપસેટ પ્રાઈઝ નક્કી કરશે અને ત્યાર બાદ હરાજીની તારીખ જાહેર કરી પશુઓની જાહેર હરાજી કરવામાં આવશે આ હરાજીમાં ફક્ત ખેડુત ખાતેદાર જ પસુની ખરીદી કરી શકશે તેમ ઢોરપકડ વિભાગમાંથી જાણવા મળેલ છે.

rajkot

રાજકોટમાં ધીમીધારે વધુ 1.5 ઈંચ વરસ્યો

Published

on

By

કંટ્રોલરૂમમાં પાણી ભરાવાની અનેક ફરિયાદો, નવલનગરમાં વૃક્ષ અને હાથીખાનામાં દીવાલ ધરાશાયી, જાનહાનિ ટળી

રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે કાળાડીબાંગ વાદળો વચ્ચે ગઈકાલે સવારથી જ ઝાપટાઓ વરસવાના ચાલુ થયા હતાં જેમાં મોડી રાત્રે ઉગ્ર સ્વરૂપ પકડતા સવાર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. જે દોઢ ઈંચથી વધુ પાણી વરસી ગયાનું ફાયર વિભાગમાં નોંધાયું છે. ગઈકાલે દિવસ દરમિયાન અને ખાસ કરીને સાંજે છ વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીના સેન્ટ્રલઝોનમાં 37 મીમી, વેસ્ટઝોનમાં 38 મીમી અને ઈસ્ટઝોનમાં 22 મીમી વરસાદ પડતા મૌસમનો કુલ વરસાદ 6॥ ઈંચને પાર થઈ ગયો છે. રવિવારે વરસાદના કારણે એક વૃક્ષ ધરાશાયી થવાની અને આજે હાથીખાના વિસ્તારમાં જર્જરીત મકાનની દિવાલ ઢળી પડવાની ઘટના ઘટી હતી પરંતુ બન્ને ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.


રાજકોટમાં ગઈકાલ સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું હતું. સુર્યનારાયણે દર્શન ન દેતા આજે વરસાદ તુટી પડશે તેવું શહેરીજનો કહી રહ્યા હતા. ત્યારે જ સવારે 10 વાગ્યાબાદ કાળાડીબીંગ વાદળોથી આકાશ છવાઈ જતાં પ્રથમ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે બપોર બાદ ઉગ્રસ્વરૂપ ધારણ કરી રાત્રીના ધોધમાર વરસાદ તુટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગઈકાલે બપોર બાદ વરસાદ સરૂ થયેલ જે આજે સવાર સુધી ચાલુ રહ્યો હતો. જેના લીધે સેન્ટ્રલઝોનમાં 37 મીમી, વેસ્ટઝોનમાં 38 મીમી અને ઈસ્ટઝોનમાં સૌથી ઓછો 22 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરીજનો મુસળધાર વરસાદની રાહ જોઈ રહ્યા હતાં. પરંતુ 12 કલાકમાં ફક્ત દોઢ ઈંચ વરસાદ વરસતા ફક્ત ગરમીમાં રાહત જોવા મળી હતી. ગઈકાલના વરસાદના કારણે ઉપરવાસના ડેમમાં પાણીની આવક ન થઈ હોવાનું જાણવા મળેલ છે.


શહેરમાં ગઈકાલે સવારથી વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો હતો. બપોરે ભારે વરસાદમાં લોકો ન્હાવા માટે રોડ ઉપર નિકળી પડ્યા હતાં. જેની સામે ભારે વરસાદના પગલે રોડ-રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા હતા. જ્યારે અંડરબ્રીજમાં પણ દોઢ ઈંચ વરસાદના કારણે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરરોજ અડધાથી દોઢ ઈંચ વરસાદ વરસી રહ્યો છે. આથી મૌસમનો કુલ વરસાદ 6॥ ઈંચને પાર થઈ ગયો છે. જેના લીધે શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં બોરમાં નવા નીરની આવક નોંધાઈ છે. અને તળ ઉંચુ આવતા લોકોને પાણી ખરીદવામાંથી છુટકારો મળ્યો છે. આજે બપોરે આ લખાય છે ત્યારે ત્રણ વાગ્યે શહેર ઉપર વાદળોના ગંજ ખડકાયેલા હોય સાંજ સુધીમાં ભારે વરસાદ તુટી પડવાની સંભાવના જોવાઈ રહી છે.

કાલનો અને કુલ ઝોન વાઈઝ વરસાદ
સેન્ટ્રલઝોન આજનો 37 મીમી, કુલ વરસાદ 186 મીમી
વેસ્ટઝોન આજનો 38 મીમી, કુલ વરસાદ 167 મીમી
ઈસ્ટઝોન આજનો 22 મીમી, કુલ વરસાદ 148 મીમી

એક તોતિંગ વૃક્ષ અને દીવાલ ધરાશાયી

શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે અનેક સ્થળે નાના-મોટા વૃક્ષો ઢળી પડવાની ઘટનાઓ ઘટી હતી પરંતુ ગઈકાલે નવલનગરમાં શિવ ઓટોગેરેજની બાજુમાં આવેલ વર્ષો જૂના લીંમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. ભારે વરસાદના પગલે લોકોની અવર જવર ન હોવાથી જાનહાની ટળી હતી. પરંતુ ગેરેજ પાસે પાર્ક કરેલ કાર ઉપર વૃક્ષ પડતા કાર માલીકને નુક્શાની સહન કરવી પડી હતી. જ્યારે ગઈકાલે ભારે વરસાદથી હાથીખાના મેઈન રોડ ઉપર એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. હાથીખાનામાં શેરી નં. 3માં આવેલ મકાન જર્જરીત હાલતમાં હોય તેની એક દિવાલ આજે ધરાશાયી થઈ હતી. આ મકાનમાં કોઈ વ્યક્તિ રહેતા ન હોવાથી અને પાંચેક વર્ષથી આ મકાન ખાલી હોવાથી દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. વૃક્ષ ધરાશાયી થવાની અને મકાનની દિવાલ ઢળી પડવાની ઘટનામાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે સ્થળ ઉપર પહોંચી વૃક્ષ તેમજ મકાનનો મલવો હટાવવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. તેમજ જર્જરીત મકાનનો બાકી રહી ગયેલો ભાગ તોડી પાડવા માટે મકાન માલીક કિશોરભાઈને સુચના આપવામાં આવી હતી. (તસવીર: મુકેશ રાઠોડ)

Continue Reading

rajkot

ઝેરી દવા પી માતાએ પુત્રીને બાથમાં લઈ ગૂંગળાવી મારી

Published

on

By

રાજકોટમાં કારખાનેદારની પત્નીએ આપઘાતનો પ્રયાસ કરી એકની એક માસૂમ પુત્રીનો ભોગ લીધો, અરેરાટી ભર્યો કિસ્સો

રાજકોટમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતા કારખાનેદારની પત્નીએ જીંદગીથી કંટાળી બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી દવા પીધા બાદ પોતાની બે વર્ષની માસુમ પુત્રીને બાથમાં ભરીને સુઈ ગઈ હતી. મહિલા તો બચી ગઈ પરંતુ બે વર્ષની માસુમ પુત્રીનું ગુંગળાઈ જવાથી મોત થયું હતું. આ બનાવમાં પોલીસને જાણ કરવામાં આવતાં સારવારમાં દાખલ મહિલા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ફોરેન્સીક પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવથી પટેલ પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.


ઘટનાની મળતી વિગતો મુજબ, રાજકોટના કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામલ ઉપવનની પાછળ ફલોર પ્લાઈન બ્લોક નં. ઈ-302માં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ચલાવતાં કેવીનભાઈ જસાણીના પત્ની નમ્રતાબેને ગઈકાલે બપોરે બે વાગ્યાની આસપાસ પોતાના ઘરે લીકવીડ પી લીધા બાદ પોતાની બે વર્ષની માસુમ પુત્રી જીયાને બાથમાં દબાવી સુઈ ગઈ હતી. નમ્રતાબેન સાંજે જાગ્યા ત્યારે પુત્રી હલન ચલન કરતી ન હોય અને બેભાન અવસ્થા જેવી લાગતા હાફડા ફાફડા બનેલા નમ્રતાબેને પતિ કેવીનભાઈને ફોન કર્યો હતો અને કેવીનભાઈ તાત્કાલીક રાજકોટ દોડી આવ્યા હતાં. નમ્રતાબેને સમગ્ર હકીકત પતિને જણાવતાં બન્નેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બે વર્ષની માસુમ જીયાને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે નમ્રતાબેનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.


આ બનાવ અંગે ખાનગી હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઈ એલ.બી.ડીંડોર સહિતનો સ્ટાફ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. નમ્રતાબેનનું નિવેદન લેતાં તેમણે જણાવ્યું કે, પોતે જીંદગીથી કંટાળી ગયા હોય જેથી લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લીકવીડ પીધા બાદ એકની એક પુત્રી જીયાને પણ બાથમાં ભરી સુઈ ગયા હોય સાંજે જાગ્યા બાદ જીયાને જગાડતાં તે કોઈ પ્રત્યુતર ન આપતાં પતિને જાણ કરી હતી. પોલીસે મૃતક બાળકીનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે જરૂર પડે નમ્રતાબેન સામે હત્યાનો ગુનો નોંધાઈ શકે છે.

મરવા માટે લિક્વિડ પી લેતા માતા બચી ગઈ પરંતુ પુત્રી ગુમાવી દીધી
રાજકોટમાં બનેલી આ દુ:ખદ ઘટનાથી પટેલ પરિવાર ઉપર વ્રજઘાત તુટી પડયો છે. કેવીનભાઈ અને નમ્રતાબેનની એકની એક બે વર્ષની પુત્રી જીયાના મોતથી પટેલ પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. કારખાનેદાર કેવીનભાઈ જસાણીની પત્ની નમ્રતાબેને કોઈ કારણસર જીંદગીથી કંટાળી આપઘાતનો વિચાર આવ્યો હતો અને પતિ કારખાને ગયા બાદ એકલી હોય તેણે લિકવીડ પી જીંદગીનો અંત આણવા માટે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોતાના મોત બાદ પુત્રીનું શું થશે ? તેવા ડરથી પુત્રીને લાડથી પોતાના બાથમાં ભરી સુઈ ગઈ હતી. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજુર હશે તેમ આપઘાતનો પ્રયાસ કરનાર નમ્રતાબેનનો જીવ બચી ગયો પરંતુ માસુમ પુત્રી જીયાનું મોત થયું આ બનાવ બાદ માતા નમ્રતાબેન પણ પુત્રીને ગુમાવવાનો શોક મનાવી રહ્યાં છે. જ્યારે પટેલ પરિવાર એકની એક પુત્રી ગુમાવતાં તેમના ઉપર વજ્રઘાત તુટી પડયો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

Continue Reading

rajkot

માધાપર ટી.પી. સ્કીમ 11 રદબાતલ કરી રોડ-રસ્તાઓ ખોલો

Published

on

By

ગ્રામ પંચાયત વખતે ખુલ્લા રહેલા રોડ અસામાજિક તત્વોએ બંધ કરી દેતા મ્યુનિ.કમિશનરને ગ્રામજનોની રજૂઆત

બે વર્ષ પહેલા મુસદો જાહેર કર્યો છતાં આજ સુધી રોડ-રસ્તાના કબજા ન લેવાતા સ્થાનિકો પરેશાન


રાજકોટ શહેરનો વ્યાપ વધતા લોકોને રોડ-રસ્તા સહિતની સુવિધાઓ મળી શકે તે માટે સરકાર દ્વારા પેન્ડીંગ રહેલી ટીપી સ્કીમો મંજુર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં નવી અનેક ટીરી સ્કીમોનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ ડ્રાફ મુજબ રોડ રસ્તાના કબ્જા લેવા સહિતની કામગીરીમાં વિલમ થતાં લોકો સુવિધાથી વંચીત રહી ગયા હતાં. તેવું માધાપર ટીપી સ્કીમ નંબર 11માં બનવા પામ્યું છે. બે વર્ષ પહેલા ઈરાદો જાહેર કરી ડ્રાફ્ટ સરકારમાં રજૂ કરાયો જે આજ સુધી મંજુર ન થતાં ગ્રામજનોએ હવે આ ટીપી સ્કીમ રદબાતલ કરી બંધ કરેલા રસ્તાઓ ફરી ખોલવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.


માધાપર ગામના રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, સવિનય જણાવવા નું કે જયારે માધાપર ગામ હતું ત્યારે કૃષ્ણનગર થી 150 ફુટ રીગ રોડ જવાનાં મુખ્ય ચાર રોડ હતા. સમાન્ય રીતે જયારે કોઈ ગામનો શહેરમાં સમાવેશ થાય ત્યારે જુનાં રોડ તો એમના એમ જ રહેતા હોય છે, તે ઉપરાંત ગામને શહેર લાયક બનાવવા માટે નવા રોડ પણ બનતા હોય છે. પરંતુ માધા52નો જયારે રાજકોટ શહેર માં સમાવેશ થયો ત્યારબાદ નવારોઽ બનવાની વાત છોડો જે હયાત ચાર રોડ હતા તે તમામ જાહેર રસ્તાઓ પદાધિકારી અને અધિકારી ઓની મહેરબાની નિચે બંધ કરી અસામાજીક તત્વો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે. અટલી નિદર્યતા ઓછી હોય તેમ માધાપર ચોકડી ઓવરબ્રિજ ની આ સાઈડ ની સવિર્સલેન પણ આજદીન સુધી બંધ રાખીને વહિવટી તંત્ર/મહાનગરપાલિકાએ એવું સાબિત કરી દિધુ છે કે અહિયાં વસવાટ કરતા લોકો માણસ નહી પણ ઘેટાં બકરા છે. આ અંગે પાછલા ત્રણ વર્ષ થી અનેકો રજુઆત કરવા છતા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી પાછલા ત્રણ વર્ષથી આખા રાજકોટ ની જનતા હેરાન થઈ રહી છે.


સામાન્ય રીતે કોઈપણ ક્ષેત્રમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવા માટે નો ઈરાદો જાહેર કરતા ની સાથે જ મહાનગરપાલિકા દ્રારા સૌથી પહેલું કામ તે ક્ષેત્રનાં રોડો ખુલ્લા કરાવવાનું હોય છે. જેવી રીતે ટીપી સ્કીમ 38/2 અને 41 ટીપી નો ઈરાદો જાહેર કરતાંની સાથે ત્યાનાં રસ્તા સૌથી પહેલા ખુલ્લા કરાવા મનપા તત્પર હતી. પરંતુ માધાપર-11 ટીપી સ્કીમનો ઈરાદો જાહેર થતાંની સાથે અહિયા જેટલા હયાત રોડ હતા તે તમામ બંધ કરી દેવામાં આવ્યા છે અને ખોલાવવા માટે ટીપી સ્કીમ મંજુર થઈ નથી એવું બહાનું કાઢી રોડ બંધ કરનાર અસામાજીક તત્વો સામે કોઈપણ કાર્યવાહી ન કરવી એ રાજકોટ મહાનગર પાલિકાની ની કાર્યશૈલી ઉપર સંદેહ પેદા કરે છે.
માધાપર-11 ટાઉન પ્લાનિંગ સ્કીમનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે અમારી માંગણી પ્રમાણે અહિનાં અસામાજીક તત્વો દ્વારા જે છેલ્લો 25 ફુટનો રોડ બંધ કરવામાં આવ્યો હતો તેને ખોલીને 40 ફુટનો કરવા માટેનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. આવી રીતે ગરીબોની માંગ પ્રમાણે થતાં અહિનાં અસામાજીક તત્વો દ્રારા રોડની વચ્ચે ચાર મંદિરો બનાવી રોડ કાયમી બંધ રહે અને આરએમસી ટીપી સ્કીમ લાગુ કરવામાં સફળ ન થાય તે માટે ડેમોલિશન ટીમ ને પણ ફોડી લેવા સુધિનું કાવતરૂૂ ઘડવામાં આવ્યુ હતું.


આ અંગે તારીખ 02/5/2022નાં રોજ આરએમસી કમિશ્નરને રૂૂબરૂૂ ફરીયાદ કરવા છતાં પણ, પોતાની જ સંસ્થાને ટીપી સ્કીમ લાગુ કરવામાં સફળ ન થવા દેનાર તેમજ રાજકોટ મહાનગરપાલિકા ની ડેમોલિશન ટીમને પણ ફોડી લેનાર અસામાજીક તત્વો સામે કોઈપણ પગલા ન લેવા તેમજ ગુજરાતની ચુંટણી પહેલા પહવે એક પણ ટીપી સ્કીમ એક વર્ષ થી વઘારે સમય લટકાવી રાખવામાં નહી આવેથ એવું વચન આપનાર ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલજી નાં આદેશ ની અવગણના કરી માધાપર-11 ટીપી સ્કીમ પાછલા બે વર્ષથી અટકાવી રાખવી એ એવુ સુચવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા હવે સંવિધાનીક સંસ્થાને બદલે તાનાશાહો ની ખાનગી પેઢી થઈ ગઈ છે.

એસ ટી બસસ્ટેન્ડનું કામ ખોરંભે ચડ્યું

માધાપર-11 ટીપી સ્કીમ મંજુર ન થતા ફક્ત માધાપરની જનતા જ નહી પરંતુ જીએસઆરટીસી ના વિભાગીય નિયામક પણ નવું બસપોર્ટ બનાવવા માટે અસમર્થ છે, જેના કારણે હજારો એસટી બસનાં મુસાફરો પાંચ ડીર્ગી ઠંડી, 45 ડીર્ગી ગરમી અને ચાલુ વરસાદે ખુલ્લા રોડ પરથી બસ પકડવા લાચાર છે. ઉપરોકત હકીકતો ને ધ્યાને લેતા માધાપર-11 ટીપી સ્કીમ મંજુર થઈને રાજકોટ એક સ્માર્ટ સીટી બને તે વાત હવે અસંભવ લાગી રહી છે. જેથી માધાપર ગામના તમામ નાગરીકોની આપને નમ્ર વિનંતી છે કે માધાપર-11 ટીપી સ્કીમને રદબાતલ ગણીને જયારે માધાપર ગામ હતું તે સમયે ગ્રામપંચાયત ના નકશા પ્રમાણેનાં રોડ ખુલ્લા કરી આપવા આપને અપીલ છે. જો આપ દ્રારા અમારૂૂ આ કાર્ય કરી આપશો તો રાજકોટની તમામ જનતા આભારી રહેશે.

Continue Reading

Trending