ભાયાવદર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો એક વિચિત્ર કિસ્સો નોંધાયો છે, જેમાં પિતાની હત્યાના ગુનામાં જેલમાં બંધ પુત્ર સાથે વીમા એજન્ટે છેતરપિંડી આચરી હતી. ઉપલેટાના રાજપરા ગામે રહેતા દેવીબેન કાનાભાઈ જોગે ચરેલીયા ગામના વીમા એજન્ટ ક્રિપાલસિંહ હુકમસિંહ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દેવીબેનનો ભાઈ રામદે હાલ પિતાની હત્યાના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં છે.
દેવીબેન તાજેતરમાં ભાઈને મળવા જેલમાં ગયા ત્યારે રામદેએ જણાવ્યું હતું કે તેણે પિતા માટે એચ.ડી.એફ.સી. બેંકની પોલિસી લીધી હતી, જે રિજેક્ટ થઈ હતી. તેનું રિફંડ એજન્ટ ક્રિપાલસિંહ પાસે છે, જે ઘરખર્ચ માટે લઈ લેવું. રામદેએ અગાઉ એજન્ટને પ્રથમ પ્રીમિયમ ભરવા માટે 1,33,300 રૂૂપિયા રોકડા આપ્યા હતા. તપાસ કરતા હકીકત સામે આવી હતી કે પોલિસી રિજેક્ટ થતા પ્રીમિયમની રકમ એજન્ટ ક્રિપાલસિંહના ખાતામાં પરત જમા થઈ હતી.
આરોપીએ આ વાત રામદેથી છુપાવીને પૈસા વાપરી નાખ્યા હતા. વધુમાં, એજન્ટે પિતાના મૃત્યુના થોડા દિવસો પહેલા જ રામદે પાસે બીજા વર્ષના પ્રીમિયમ પેટે ખોટી રીતે ફરી 1.33 લાખ રૂૂપિયાની માંગણી પણ કરી હતી. શરૂૂઆતમાં જ્યારે દેવીબેને ઉઘરાણી કરી ત્યારે એજન્ટે બહાનું કાઢ્યું હતું કે રિફંડ તો ગ્રાહકના ખાતામાં જ આવે, પરંતુ દેવીબેને પોલીસ ફરિયાદની વાત કરતા તેણે ફોન પર ગુનો કબૂલ્યો હતો કે પૈસા તેના ખાતામાં આવ્યા હતા અને તે વપરાઈ ગયા છે. ભાયાવદર પોલીસે એજન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
