જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને ઙછઘ સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ તપાસ દરમિયાન આજે એક નવો વળાંક આવ્યો છે, જેમાં પૂજારી પ્રિન્સ ઠાકોરે પ્રાંત અધિકારી પર માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
પૂજારી પ્રિન્સ ઠાકોરે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તે નાનપણથી અને બ્રહ્મલીન ધનસુખગીરી બાપુના સમયથી મંદિરમાં સેવા-પૂજા કરે છે. જે સમયે મંદિરમાં આ માંસ-મટનનું પ્રકરણ બન્યું ત્યારે તે ત્યાં હાજર નહોતો. ગઈકાલે રવિવારે સવારે 11:30 વાગ્યે તેને પ્રાંત અધિકારી કાંત સાહેબની ઓફિસે બોલાવવામાં આવ્યો હતો અને આખો દિવસ કશું જ ખાધા-પીધા વગર બેસાડી રાખી સાંજે તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ફરીથી તેને બોલાવીને દબાણ કરવામાં આવ્યું હતું.
પ્રિન્સ ઠાકોરના જણાવ્યા અનુસાર આજે બપોરે જ્યારે તેને ફરી પૂછપરછ માટે બોલાવાયો ત્યારે સાહેબે તેને પૂછ્યું હતું કે, ’શું તું 25 તારીખે ઉપર ગયો હતો?’. પ્રિન્સે સ્વીકાર્યું હતું કે, તે રાંધણ છઠ હોવાથી દર્શન કરવા ગયો હતો પરંતુ, ત્યાં શું ચાલતું હતું તેની તેને જાણ નહોતી. આ સાંભળી પ્રાંત અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને ’તું જ આ પ્રકરણમાં સામેલ છે’ તેમ કહી ગાળો ભાંડી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રિન્સે જણાવ્યું કે તેને વાંસાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને 8-10 લાફા-પાટું મારીને તેની પાસે પરાણે સહી કરાવી લેવામાં આવી છે. આ મામલે તેણે ન્યાયની માંગ કરી છે.
બીજી તરફ ગઈકાલે રવિવારે પણ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો હતો. પૂજારી અને વહીવટ સાથે જોડાયેલા 11 મુખ્ય વ્યક્તિઓ સહિત કુલ 26 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર સ્થળ તપાસ કરી પંચરોજકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પ્રાંત અધિકારી ગોહિલ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.
