ગુજરાત
જ્યાં દેવી પૂજાય છે ત્યાં દુષ્કર્મની ઘટના સમાજની દરિદ્રતા: RJ દેવકીનો આક્રોશ
જ્યારે ભોગ બનેલ મહિલા હિંમતપૂર્વક આગળ વધે ત્યારે સમગ્ર સમાજને મારી અપીલ છે કે તેને સાથ આપો
આપણે ભૂલી ગયા છીએ કે જો ઉંબરાવાળી રીઝે તો જ ડુંગરાવાળી રીઝે છે, દીકરાઓને પણ સમજણ આપવી રહી કે તેના જીવનમાં આવનાર દરેક મહિલાઓ સાથે કઈ રીતે વર્તવું
સવાલ: આપ અભિનય અને રેડિયો એમ બંને ક્ષેત્રે પ્રવૃત્ત છો તો કઈ રીત બંનેને ન્યાય આપો છો?
જવાબ: RJની પસંદગી બાદ લાંબા સમય સુધી થિયેટર જોઈન કર્યું ન હતું કારણ કે રેડિયોમાં પ્રોગ્રામ હેડ, બિઝનેસ માર્કેટિંગ સહિત અનેક જવાબદારી નિભાવવાની હતી. ઘણીવાર એવું બનતું કે રાત્રે ઓફિસના ટેબલ પર સૂઈ ગઈ હોવ અને સવારે ઊઠીને કામ કરવા લાગી જતી.હું એ સમયે રેડિયોને 20 કલાક આપતી. 2014માં માતાનું અકુપાર નાટક ભજવવાનું હતું અને તેમાં મુખ્ય પાત્ર ભજવતી અભિનેત્રીની ગેરહાજરીમાં એ પાત્ર ભજવવાનું મારે ભાગે આવ્યું.આ સમયે થિયેટર પ્રત્યેનો લગાવ જીવંત થયો અને નક્કી કર્યું કે રેડિયોની થોડી જવાબદારી ઓછી કરીને થિયેટરમાં પણ કામ કરવું.
સવાલ: રેડિયોના આપના કાર્યક્રમો,નાટકોમાં સામાજિક સંદેશ અને જાગૃતિ ફેલાવતા વિષય હોય છે.સમાજમાં તેની અસર થતી હોય તેવું લાગે છે ખરા?
જવાબ: જ્યારે તમારી પાસે માધ્યમ હોય છે ત્યારે તમે બહુ મોટા સમૂહ સુધી પહોંચી શકો છો. તમારા બોલાયેલ શબ્દો,તમે કીધેલી વાતને લોકો મહત્ત્વ આપે છે.એક જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે વાત કરો છો ત્યારે લોકો ઉપર તેની અસર ચોક્કસપણે થાય છે. છાપામાં શું શું ન લખી શકાય, શું રિપોર્ટિંગ ન કરવું એ જવાબદાર જર્નાલિસ્ટ તરીકે ખ્યાલ હોય છે પરંતુ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેમાં દરેક વ્યક્તિ પોતે વ્યક્ત થવા ઈચ્છે છે. દરેકને લાગે છે કે મારે મારો અભિપ્રાય વ્યક્ત કરવો છે અને એનું મહત્ત્વ હોય તેવું તે માને છે.
મીડિયાને ખબર છે ક્યાં ન બોલવું પરંતુ સામાન્ય માણસને ખબર નથી કે શું ન બોલવું,પરંતુ આ સામાન્ય માણસ પાસે જ પાવર છે જેમ સ્પાઈડરમેને કહ્યું હતું ને કે with great power of great responsibility પરંતુ અહીં જવાબદારી નથી છતાં પાવર આવી ગયો છે અને એટલા માટે જ ઘણું બધું મેસ થતું આપણે જોઈએ છીએ. ધારો કે તમારી પાસે મંચ છે તો લોકો તમને સાંભળે છે,જુએ છે. તમે બોલો છો એને સાચું માને છે.જો લોકો તમને જેન્યુનલી માને છે તો જવાબદારી લેવી જરૂૂરી છે. મારી પાસે મંચ છે અને રેડિયો પણ છે અને ફિલ્મો પણ કરવાની છે તો મારે એવા વિષયો ઉપર જરૂૂર વાત કરવી જોઈએ કે જે સમાજ અને લોકો માટે મહત્ત્વની હોય.
સવાલ: તમે જુદા-જુદા વિષય પર અવેરનેસના કાર્યક્રમ કરો છો તો વર્તમાન સમયમાં એવી કઈ સમસ્યા છે જેના માટે દરેકે આગળ આવવું જરૂરી છે.?
જવાબ: કલકત્તા જેવી ઘટના.આ ઘટના બની ત્યારે દરરોજ અલગ અલગ ઘટનાના સંદર્ભે આ વાત વિશેષ ચર્ચામાં રહી. હવે લોકો સમજી ગયા છે કે દેશમાં એક બળાત્કારની ઘટના બને એટલે બીજી ઘટનાઓ પણ ફ્રન્ટ પેજ પર સ્થાન પામે છે. હજુ કલકત્તાની ઘટનાની ચર્ચા ચાલુ છે ત્યાં જ ગાઝિયાબાદની દીકરી સાથે બળાત્કાર થયો, અયોધ્યામાં જ્યાં રામના આગમનને આપણે વધાવ્યો ત્યાં પણ દીકરીને બળાત્કાર કરી ખૂબ ભયાનક રીતે મારી નાખવામાં આવી છે, છ – છ વર્ષની બાળકી પર બળાત્કાર થાય છે એ આપણા સમાજની કરુણતા છે.ત્રીચીની અંદર પણ છોકરીઓની હોસ્ટેલની અંદર વાઇફાઇ માટે માણસ આવ્યો અને બિભત્સ હરકતો કરી હતી.આ બધી ઘટના બને છે તેનો વિરોધ કરવો જ જોઈએ પરંતુ એવું થતું નથી એ સમાજની દરિદ્રતા છે.જે સમાજમાં દેવીઓ પૂજાય છે તે સમાજમાં દીકરીઓ પર બળાત્કાર થાય છે. આપણે ભૂલી ગયા છીએ કે જો ઉંબરાવાળી રીઝે તો જ ડુંગરાવાળી રીઝે છે. આપણે આપણા દીકરાઓને પણ સમજણ આપવી રહી કે તેના જીવનમાં આવનારી દરેક મહિલાઓ સાથે કઈ રીતે વર્તવું.
સવાલ: મહિલાઓ પર દુર્વ્યવહારના બનાવો બને છે એ સંદર્ભે સમાજની શું જવાબદારી છે?
જવાબ:જ્યારે તમારી સાથે કંઈ ખોટું થાય છે ત્યારે ડરો નહીં આગળ આવો. જ્યારે કોઈ મહિલા હિંમતપૂર્વક આગળ વધે ત્યારે સમગ્ર સમાજને મારી અપીલ છે કે તમે પણ તેને સાથ આપો. એક સમય હતો કે આપણે દીકરીને પાંખો આપવાની વાત કરતા, સ્વતંત્ર કેમ રહેવું તેની વાત કરતા અને સપના પૂરા કેમ કરવા તેની વાત પણ કરતા, પરંતુ આવી દીકરીઓ સાથે કેમ જીવવું એ આપણે દીકરાઓને શીખવતા ભૂલી ગયા. આપણે બાળકોને હિસ્ટ્રી અને એકાઉન્ટ શીખવીએ છીએ પરંતુ નિષ્ફળતા મળે,હૃદય તૂટે કે ધંધામાં પછડાટ ખાવાનો વારો આવે કે પડ્યા પછી ઉભા થવાનું જ્ઞાન આપણે નથી આપતા. જો આ બદલાવ નહીં આવે તો મોટા બદલાવની આશા વ્યર્થ છે. હું રાજકોટની દીકરી છું અને ગુજરાત મિરરમાં આવી છું ત્યારે ખાસ અપીલ કરું છું આ સળગતો પ્રશ્ન છે તેને હલ કરવાની શરૂઆત પણ આપણાથી જ કરીએ.
સવાલ:જ્યારે મહિલાઓ ‘તમે અમને ખૂબ ગમો છો’ અથવા ‘આઇ લવ યુ’ કહે છે ત્યારે કેવું લાગે છે?
જવાબ:(ખડખડાટ હસી પડે છે) તમારી વાત સાચી છે રાજકોટના જ એક કાર્યક્રમમાં મહિલાઓએ આ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી એક મહિલાએ એમ પણ કહ્યું હતું કે તમે મારા શાહરૂૂખખાન છો. જ્યારે આવો ભરપૂર પ્રેમ મળે છે ત્યારે ખૂબ ગમે છે પરંતુ ત્યારે તમારી જવાબદારી પણ વધી જાય છે. ઘણા લોકો એમ કહે છે કે અમે દીકરીનું નામ તમારા પરથી રાખ્યું છે ત્યારે એમ લાગે છે કે માબાપે જે મારામાં વાવ્યું તે ખરેખર ઊગી નીકળ્યું છે.અત્યારના સમયમાં સત્ય બોલવા માટે હિંમત કરવી પડે છે જૂઠું બોલવા માટે હિંમતની જરૂૂર નથી.આપણે એવું ઘણીવાર સાંભળીએ છીએ કે ધ્યાન રાખજો હો એ પ્રમાણિક માણસ છે.આપણે એવું નથી કહેતા કે જો જો હો એ કરપ્ટ માણસ છે. સમાજના જે પાસા ફરી ગયા છે તેને યોગ્ય કરવા સહિયારો પ્રયાસ કરવો પડશે.
સવાલ: તમારા ચાહકો તમારો લાઇફ ફંડા જાણવા માગશે તમારી પસંદ-નાપસંદ જણાવો.
જવાબ:હું હસતી રહું છું,આનંદમાં રહું છું એટલે ખુશ છું. મારી પાસે એક ડોગ છે એનું નામ રૂૂમી છે જ્યારે તમે એક પ્રાણી સાથે રહો છો ત્યારે સમજાય છે કે આ પૃથ્વી તમારા એકની નથી. પ્રાણી ખૂબ જ સમજદાર હોય છે તમારી ભાવનાને ખૂબ સારી રીતે સમજે છે. ભોજનમાં મને ચાટ બહુ ભાવે છે અને એ ખાતી રહું છું એટલે જ અન્ય દિવસોમાં ડાયેટ ફૂડ ખાવું પડે છે. જેમ મગજમાં સારા વિચારો નાખીએ તો સારા વ્યક્તિ બનાય એ જ રીતે શરીરને સારો ખોરાક આપશો તો શરીર ચાલતું રહેશે.જીવનના અંત સુધી કામ કરતા રહેવાની ઈચ્છા છે.
સવાલ: આટલી સફળતા મળ્યા પછી હવે શું? તમારું ડ્રીમ શું છે?
જવાબ:ગુજરાતી ફિલ્મો કરી રહી છું પરંતુ હું જે નાટકો કરી રહી છું તે પ્રકારની ગુજરાતી ફિલ્મો લખાતી નથી અને એ પ્રકારનું કામ કરવા મળતું નથી,એના કારણે સતત એવું થાય છે કે એવો કોઈ પ્રોજેક્ટ હોય જેનું મોટું ઓડિયન્સ હોય.થિયેટરમાં જે પ્રકારનું કામ કરીએ છીએ એવું હિન્દી કે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અથવા ઓટીટી ક્ષેત્રે કંઈક સિગ્નિફિક્ધટ કરી શકું
RJ દેવકીના આ સ્વપ્ન માટે ગુજરાત મિરર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
WRITTEN BY :~ BHAVNA DOSHI
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ