ડામર લઈને જતા ડમ્પરનું ટાયર ફાટતાં આગ લાગ્યા બાદ બસ પાછળ ઘુસી ગઈ, પેટ્રોલ પંપના માણસોએ કાચ તોડી મુસાફરોને બચાવ્યા
જીવ બચાવવા મુસાફરો બારીમાંથી કુદ્યા તો ગરમ ડામર પર પડ્યા, 10 ઘવાયા
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફરો જીવતા સળગી ગયા છે. હવે તેમની ઓળખ કરવા માટે DNA જ એક રસ્તો છે. , જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જીવ બચાવવા મુસાફરો બસની બારીના કાચ તોડી નીચે કુદ્યા તો કેટલાક નીચે પડેલા ગરમ ડાંમર પર પડ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું.
આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. લીંબડીના રહેવાસી નરેન્દ્રભાઈનો હાથ સળગી ગયો હતો. તેઓને તેમજ અન્ય 9 લોકોને પણ સારવાર અર્થે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે.
https://x.com/PTI_News/status/2054751637865111777?s=20
ઘટના અંગે ચોટીલા SDM એચ.ટી. મકવાણાએ કહ્યું કે, મોડી રાત્રે દોઢ વાગ્યે ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટીયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે. બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું જે ડામર ભરેલું, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતાં, એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણું, એવી વિગત સામે આવેલ છે. 35થી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.”
ઘટનાના પ્રત્યક્ષદર્શી અજય મેવાડાએ જણાવ્યું કે, રાત્રે અંદાજિત દોઢ વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો. અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતાં એની જોડે અથડાઈ. બસમાં ધીરે ધીરે ધીરે ધીરે આગ લાગવા માંડી. એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો પણ ડામર ટેન્કરમાં ભરેલો હતો એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધારે વધતી જતી હતી, એટલે કંટ્રોલ ન થઈ. બસમાં આગ વિકરાળ રૂૂપ લઈ લીધું જેમાં 4 માણસો ભડથું થઈ ગયા હતા, એ નીકળે એવી પોઝીશન જ ન હતી અને બાકીના માણસોને અમે બચાવી લીધા હતા.. અંદાજિત 20 થી 25 માણસોને કાચ પાઇપ અને ધોકા વડે કાચ તોડીને બચાવ્યા.
આ ઘટનામાં એક મુસાફરે જણાવ્યું હતું કે, બસમાં રહેલા તમામ મુસાફરોએ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદકા માર્યા હતાં અને અમુક લોકોને હાથ પગમાં નાની મોટી ઈજા થઈ હતી. હાલ આ ઘટનામાં કલેકટર તંત્ર, પોલીસ વિભાગ દ્વારા મૃતકોની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી રહી છે.
