રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક વધુ એક હિટ એન્ડ રન બનાવ સામે આવ્યો છે. કુવાડવા ગામે રહેતો પરપ્રાંતીય યુવાન રાત્રે મરધી લેવા જતો હતો ત્યારે હાઇવે ઓળંગતી વેળાએ અજાણયો વાહન ચાલક તેને ઠોકરે ચડાવી નાશી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ધવાયેલા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાશી છૂટલા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ રાજસ્થાના વતની અને હાલ કુવાડવા ગામે રહેતા જગદીશસિંહ હીરાસિંહ રાવત (ઉ.વ.39)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તે કુવાડવા નજીક આવેલા પેટ્રોલ પંપમા નાઇટ શીફટમાં નોકરી કરે છે અને તેનો ભાઇ નરેન્દ્રસિંહ દિવસની શીફટમાં નોકરી કરે છે. ગઇકાલે રાત્રે 11 વાગ્યે તે કામ ઉપર હતો ત્યારે તેની ભત્રીજી યાશનાનો ફોન આવેલો અને મારા પિતા 1 કલાક પહેલા મરધી લેવા ગયા છે. હજૂ સુધી આવ્યા નથી તેમ જણાવ્યુ હતું. બાદમાં તેના મકાન માલીક નીરજપરી ગોસ્વામીનો ફોન આવેલો અને જણાવેલુ કે, કુવાડવા હાઇવે પર ભીમેશ્ર્વર મંદિર નજીક તેના ભાઇનો અકસ્માત થયો છે. તેમ જણાવતા તેઓ તાત્કાલીક દોડી ગયા હતા. તપાસ કરતા તેના ભાઇ મરધી લેવા જતા હતા.
ત્યારે રસ્તો ઓળંગતી વેળાએ અજાણયો વાહન ચાલક હડફેટે લઇ નાશી છૂટયો હતો. આ અકસ્માતમાં નરેન્દ્રસિંહને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેનુ મોત નીપજ્યુ હતું. 108ના સ્ટાફ મરણ જાહેર કરી પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે કુવાડવા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નરેન્દ્રસિંહ આઠ ભાઇ બહેનમાં વચેટ અને તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે મૃતકના ભાઇની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાશી છૂટેલા અજાણયા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
