વાવડી ગામથી કામ પુરૂ કરી પ્રૌઢ પોતાના ઘરે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
અમરેલીના કુકાવાવ નજીક ઉજળા ગામ નજીક અકસ્માત થતા બાઇક ચાલક પ્રૌઢને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં તેમનું સારવાર દરમીયાન મોત નિપજયું હતું. અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
બનાવની વધુ વિગતો અનુસાર કુકાવાવના અનીડા ગામે રહેતા રમેશ નાથાભાઇ સોળીયા (ઉ.વ.58) નામના પ્રૌઢ પોતાના બાઇક પર જતા હતા ત્યારે ઉજળા અને તલાળી ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે ઠોકરે લેતા ઘવાયેલા રમેશભાઇને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલે ખસેડાયા હતા. જયાં તેમનું સારવારમાં મોત નિપજયું હતું.
રમેશભાઇ કડીયા કામ કરતા હતા તેમને સંતાનમાં બે દીકરા અને એક દિકરી છે. પોતે પાંચ ભાઇ બે બહેનમાં નાના હતા. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
