ધોરાજીના ઉમરકોટ ગામની સીમમાં પાણી વળવા બાબતે ખેડૂત ઉપર શેઢા પાડોશીના ભાગીયા અને મહિલા સહીત 4 શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કેનાલમાંથી પાણી વાળવા મામલે થયેલ ઝગડો મારામારી સુધી પહોચ્યો હતો.
મળતી વિગતો મુજબ ધોરાજીના ઉમરકોટમાં રહેતા ખેડૂત અલ્લારખાભાઈ હાજીભાઈ હાલાણી (ઉવ50)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરના લુણાગીરીમાં રહેતા દિપક કરશન, ચંદુ કરશન, કલ્પેશ અને ધનીબેનનું નામ આપ્યું છે. ફરિયાદમાં અલ્લારખાભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે તે પોતની વાડી હતા અને ખેતરમાં વાવેલ ઘઉંના પાકમાં પાણીની જરૂૂરીયાત હોય જેથી ભાદર-01 ડેમની કેનાલમાથી પાણી લેવા ગયેલ હતો.
ત્યારે શેઢા પાડોસી લલીતભાઇ શીંગાળાની જમીને ભાગમાં વાવતા દિપકભાઈ કરશનભાઈ અલ્લારખાભાઈના ખેતરમાં જમીનના શેઢેથી ઇરીગેશન ધોરીયા વડે કેનાલમાંથી પાણી મેળવી પાકને આપતાં હોય જેથી અલ્લારખાભાઈએ ત્યાં ધોરીયે જઈ દિપકભાઈને કહેલ કે, અમારે ઘઉં સુકાય છે, તમે બે દિવસથી પાણી વાળો છો, તેમાથી અડધુ પાણી મારા ખેતરમા આવવા દયો, મારે મારા ઘઉંમાં પાણી પાવાનુ છે તેમ કહ્યું હતું. જે બાબતે દિપક ઉશ્કેરાયો હતો અને તારા ઘઉં સુકાય જાય તો ભલે સુકાય જાય તને આમાથી એક ટીંપુ પાણી આવવા નહી દઈએ, તારાથી થાય તે કરી લેજે કહી ઝગડો કર્યો હતો તે દરમિયાન તેનો ભાઈ ચંદુ, દીકરો કલ્પેશ તથા પત્ની ધનીબેન ત્યા આવી ગયેલ હતા. બાદ ચારેયએ અલ્લારખાભાઈ ઉપર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત અલ્લારખાભાઈને સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. આ મામલે ધોરાજી તાલુકા પોલીસે મહિલા સહીત ચાર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ આદરી હતી.
