જાહેર સ્થળોએ શ્ર્વાનોના ટોળા જોવા મળતા નાગરિકો રાત-દિવસ ભયના માહોલમાં
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાં રખડતા શ્વાન નો ત્રાસ સતત વધી રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં 1200 થી વધુ નાગરિકોને કૂતરાં કરડ્યા ના બનાવો સામે આવ્યા છે, જેના કારણે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટ ના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.
વેરાવળ સરકારી હોસ્પિટલ ના આર.એમ.ઓ. ડો. બી.પી. નારીયા એ જણાવેલ કે, છેલ્લા બે માસમાં ડોગ બાઈટ ના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર માસમાં 204 કેસ, ઓક્ટોબર માસમાં 278 કેસ, નવેમ્બર માસમાં 421 કેસ અને ડિસેમ્બર માસમાં અત્યાર સુધીમાં 304 કેસ નોંધાઈ ચૂક્યા છે. હોસ્પિટલમાં આવેલા મોડેલ એન્ટી રેબિઝ ક્લિનિક સેન્ટર માં ચોવીસ કલાક ડોગ બાઈટ ના કેસોમાં સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં જરૂૂરી ઇન્જેક્શન સહિતનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
વેરાવળ શહેરમાં મંદિરો, બજાર તેમજ અન્ય જાહેર સ્થળોએ કૂતરાંના ટોળા જોવા મળતા નાગરિકો રાત-દિવસ ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ભયની લાગણી વધી છે. શહેરમાં રખડતા કુતરા ના નિયંત્રણ માટે કામગીરી કરતી નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણા એ જણાવેલ કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એનિમલ બર્થ કંટ્રોલ રૂૂલ્સ અનુસાર નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કાયદાકીય જોગવાઈ મુજબ કૂતરાને પકડી તેનું ખસીકરણ કરી અને ફરી તેને એ જ સ્થળે મુક્ત કરવાનો હોય છે, કૂતરાઓને વિસ્થાપિત કરી શકતા નથી. આ માટેની કાર્યવાહી ખૂબ જટિલ અને સમય માંગી લે તેવી છે. કૂતરાઓને પકડી તેનું ખસીકરણ કરવા માટે ત્રણ દિવસ સુધી રાખવાના હોય છે. આ માટે શેડ બનાવવા અને 100 થી વધુ પાંજરા બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું જણાવેલ છે.
