ગુજરાત ભાજપાના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, આવતીકાલે તા. 18 માર્ચ 2026, બુધવારે બપોરે 1.00 કલાકે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘ કમલમ‘, કોબા ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ પદાધિકારીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખ તથા મહામંત્રીઓ, પ્રદેશ ચુંટણી સંચાલન સમિતિના સભ્યો, જિલ્લા તથા મહાનગરના પ્રભારીઓ, પ્રમુખો અને ચુંટણી સમિતિના સભ્યોની ઉપસ્થિતિમા મહત્વની બેઠક યોજાશે.
તેમણે જણાવ્યું છે કે, આવનાર સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓમાં સુચારુ સંચાલન માટે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ અને પરંપરા પ્રમાણે પ્રદેશ સ્તરે કુલ આઠ સભ્યોની અને જિલ્લા-મહાનગરોમાં ચાર સભ્યોની ચૂંટણી સંચાલન સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. પ્રવાસ, ગ્રુપ મીટિંગ, જાહેરસભાઓ, પ્રબૃદ્ધ નાગરિક, સામાજીક, મહિલા, યુવા, કિસાન સહિતના સંમેલનો દ્વારા ભાજપા હરહમેંશ રાજ્યના મતદારોનો સંપર્ક કરે છે. ભાજપા 365 દિવસ કામ કરવા ટેવાયેલ છે.
ડો. અનિલભાઈ પટેલે વધુમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના નેતૃત્વની રાજયની ભાજપા સરકારની કામગીરી અને ચૂંટાયેલા પ્રતિનિધીઓના રિપોર્ટ કાર્ડના આધારે ભાજપા નાગરિકોની વચ્ચે જશે.
