ક્રાઇમ
રાજકોટના નવા રિંગ રોડ ઉપર રોંગ સાઈડમાં આવતા આઈસરે બાઈકને ઉલાળતા એન્જિનિયરનું મોત
છ મહિના પહેલાં પરણેલુ દંપતિ ખંડિત, અટલ સરોવર ફરવા જતાં નડેલો અકસ્માત
રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક કરુણ ઘટનામાં છ માસ પૂર્વે જ પ્રભુતામાં પગલા પાડનાર મેટોડામાં રહેતું દંપતિ રાત્રીના સમયે બાઈક લઈને અટલ સરોવર ફરવા જતું હતું ત્યારે સાઈડ બંધ હોવાના કારણે રોંગ સાઈડમાં ધસી આવેલા આઈસરે બાઈકને ઉલાળતા દંપતિ ફંગોળાયુ હતું. જેમાં પત્નીની નજર સામે જ ઈલેક્ટ્રીક એન્જિનિયર પતિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ જામ કંડોરણાના ભાદરા ગામના વતની અને હાલ મેટોડા જીઆઈડીસી ગેઈટ નંબર-3માં રહેતા નયનભાઈ મુકેશભાઈ વિરડિયા ઉ.વ.25 અને તેની પત્ની હેપીબેન નયનભાઈ વિરડિયા રાત્રીના સમયે પોતાનું બાઈક લઈ રાજકોટમાં નવા રીંગ રોડ ઉપર આવેલા અટલ સરોવર ફરવા જતા હતા ત્યારે અટલ સરોવર નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા આઈસરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા દંપતિ ફંગોળાયુ હતું. હેપીબેન વિરડિયાનો પગ આઈસરના પાછળના જોટામાં આવી ગયો હતો. જ્યારે નયન વિરડિયાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીની નજર સામે જ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી આઈસર ચાલક આઈસર રેઢુ મુકી નાશી છુટ્યો હતો.
ઘટનાને પગલે એકઠા થઈ ગયેલા લોકો તાત્કાલીક ઈજાગ્રસ્ત હેપીબેન વિરડિયાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યારે ઘટના અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વાય.બી. ભગત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક નયન વિરડિયા બે ભાઈ અને બે બહેનમાં નાનો હતો. મૃતક નયન વિરડિયા અને હેપીબેન વિરડિયાના છ માસ પૂર્વે જ લગ્ન થયા હતાં.
નયન વિરડિયા મેટોડાની એક કંપનીમાં ઈલેક્ટ્રીક એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાથી લગ્ન બાદ દંપતિ છેલ્લા દોઢ મહિનાથી મેટોડામાં સ્થાયી થયો હતો. નયન વિરડિયા 10 દિવસ પૂર્વે જ ભાદરા ગામે રહેતા પરિવારને લઈને મેટોડા આવ્યો હતો. અને ઘટનાના ત્રણ દિવસ પૂર્વે જ પરિવાર દંપતિને મળીને ભાદરાગામે પરત ફર્યો હતો. ગઈકાલે રાત્રીના સમયે નવદંપતિ ફરવા નિકળ્યું હતું. અને રાત્રીના સમયે જ મેટોડા પરત ફરતી વખતે રસ્તામાં આવતા અટલ સરોવર જવાની ઈચ્છા થતાં દંપતિ અટલ સરોવર ફરવા જતું હતું. ત્યારે જ રોંગસાઈડમાં કાળ બનીને ધસી આવેલા આઈસરે બાઈક ચાલક ઈલેક્ટ્રીક એન્જિનિયરનો ભોગ લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વાય.બી. ભગત સહિતના સ્ટાફે જીવલેણ અકસ્માત સર્જી નાશી છૂટેલા આઈસર ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
સાયન્સ સિટી હિટ એન્ડ રન કેસમાં રાજકોટનો શખ્સ પોલીસમાં હાજર થયો
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે બુધવારે 15 સપ્ટેમ્બરે શહેરના સાયન્સ સિટી રોડ પર બનેલા હિટ એન્ડ રન કેસના સંદર્ભમાં રાજકોટના કોટડા સાંગાણીના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.
આરોપી જયદીપ વઘાસિયાએ બુધવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન વઘાસિયાએ જણાવ્યું હતું કે તે તેના સાળા કે જે કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે તેને રાજકોટથી સોલાની ખાનગી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે ખુલાસો કર્યો કે જ્યારે અકસ્માત થયો ત્યારે તે ઉંઘથી વંચિત હતો અને હોટલ તરફ જઈ રહ્યો હતો.
તે વ્હીલ પર સૂઈ ગયો હતો અને ગભરાટમાં, ભૂલથી બ્રેકને બદલે એક્સિલરેટરને અથડાયો હતો જ્યારે તેને ખબર પડી કે તે રાહદારીઓ સાથે અથડાઈ રહ્યો છે, તેમ ઈન્સ્પેક્ટર પી.બી. ઝાલા. આત્મસમર્પણ કરતા પહેલા વઘાસિયાએ તેમના સાળાને રજા આપી હતી અને તેમને અને તેમની બહેનને રાજકોટ પરત મોકલી દીધા હતા.રણજીતસિંહ ભલગરિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ઋઈંછમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમનો પરિવાર અકસ્માતમાં સામેલ હતો. રણજીતસિંહની પત્ની જીવુને માથા અને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે પુત્ર પ્રિતરાજને માથા, પેટ, છાતી અને હાથપગના ભાગે ઈજાઓ થઈ હતી. પોલીસે નોંધ્યું છે કે પીડિતો તબીબી સંભાળ હેઠળ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પીડમાં આવતી કાર માતા-પુત્રને ટક્કર મારતી જોવા મળી રહી છે.
ક્રાઇમ
શહેરમાં બે સ્થળે પીસીબીના બીજા દિવસે દરોડા : 62 હજારના દેશી દારૂ સાથે પકડાયા
શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબી ધોંષ બોલાવી રહી છે સતત બીજા દિવસે પીસીબીએ રાજકોટ શહેરની ભાગોળે સાતળા ગામ અને લોઠડા ગામમાં દરોડા પાડીને 62 હજારની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે બે સપ્લાયરોના નામ ખોલ્યા છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ સક્રિય થયેલી પીસીબી બ્રાંચ દારૂ અને જુગારના હાટડાઓ બંધ કરાવવા માટે સતત કાર્યશીલ બની રહી છે. ગઈકાલે દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંષ બોલાવ્યા બાદ બીજા દિવસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડયા હતાં. જેમાં સાતળા ગામની સીમમાં મારૂતિ સ્વીફટ કાર નં.જીજે.10.એપી.353માં દેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા ખોખડદળ પાસે મફતીયાપરામાં રહેતા અનકુ ભીખુભાઈ ચાવડાને 30 હજારની કિંમતના 150 લીટર દેશી દારૂ અને કાર સહિત રૂા.2.35 લાખના મુદ્ધામાલ સાથે ઝડપી લઈ પુછપરછમાં સપ્લાયર ખાટડી ગામના શિવરાજ બહાદુર ખાચરનું નામ ખોલ્યું છે. બીજા દરોડામાં લોઠડા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડીને રૂા.32 હજારની કિંમતના 160 લીટર દેશી દારૂ સાથે રસુલપરામાં બબલુ રસુલ શેખ અને હુસેન ગુલમહમદ અંસારીની ધરપકડ કરી રૂા.32000ની કિંમતનો 160 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કોઠારીયા સોલવન્ટ પાસે રહેૈતા ઈમરાન જુસબ હાલાએ સપ્લાય કર્યાનું ખુલ્યું હતું.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે પીએસઆઈ એમ.જે.હુંણ તથા પીએસઆઈ પી.બી.ત્રાજીયા અને તેમની ટીમે આ સતત બીજા દિવસે દરોડાની કામગીરી કરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો