ઈઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયેલા ઉમરગામ સહિત ગુજરાતના 72 માછીમારો 35 દિવસ બાદ વિઝા લઈ 1500 કિ.મી. દૂર આર્મેનિયા જવા નીકળ્યા છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના કિસ્ટ ટાપુ પર ઉમરગામ તાલુકા સહિત ગુજરાતના 72 માછીમારો ફસાયા હતા.
માછીમારોએ જીવ બચાવવા બોટમાં જીવન વ્યતિત કરતા હોવાથી પરિવારો ભારે ચિંતામાં મુકાયા છે. 30 દિવસથી વધુ યુદ્ધ ચાલુ રહેતા માછીમારોની ચિંતા વધી હતી અને આવનારી મુશ્કેલીને લઈ માછીમારોએ ઈરાન સરકાર પાસે 1500 કિ.મી. દૂર આવેલા આર્મેનિયાના વિઝા મેળવવા પ્રક્રિયા હાથ ધરતા 20 દિવસના વિઝા આપવામાં આવ્યા હતા. જેથી તમામ માછીમારો વાહન મારફતે આર્મેનિયા જવા રવાના થયા હતા.
માછીમારોએ ઉતારેલા વીડિયોમાં જણાવ્યું કે, યુદ્ધ આગળ વધી રહ્યું છે જેને કારણે અમારી ચિંતા વધી જતા અમે વિઝા લઈ આર્મેનિયા જવા નીકળ્યા છે. યુદ્ધના સંકટને કારણે આર્થિક સંકડામણ વધી ગઈ છે. ભારત પરત આવવા નાણાં બચ્યા નથી. આર્મેનિયા એરપોર્ટથી વાયા દુબઈ થઈ ભારત લાવવા ભારત સરકારને અપીલ કરી છે.
આર્મેનિયામાં ભારત આવવા જુદા જુદા ક્ષેત્રના 1000થી વધુ લોકો રાહ જોઈ બેઠા હોવાનું જણાયું હતું. 20 દિવસના વિઝા આપવામાં આવ્યા છે. તે સમયમર્યાદામાં માછીમારો ભારત પરત નહીં પહોંચે તો વિઝા રદ થઈ શકે છે અને પરત ઈરાન જવાનો વારો આવશે.
