સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ભૂસ્તરીય હલચલ યથાવત રહી છે. આજે વહેલી સવારે જ્યારે સમગ્ર પંથક ભરનિંદ્રામાં હતો, ત્યારે ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વહેલી સવારે 3:58 વાગ્યે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 નોંધાઈ હતી. વહેલી સવારે આવેલા આ આંચકાને કારણે અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરના વાસણો અને બારી-બારણાં ધ્રુજવા લાગ્યા હતા. અચાનક આવેલી આ ધ્રુજારીને કારણે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો સફાળા જાગી ગયા હતા. અનેક પરિવારો નાના બાળકો અને વૃદ્ધો સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 42 કિમી દૂર નોંધાયું હતું. જમીનમાં થયેલી આ હલચલને કારણે આસપાસના તાલુકાઓમાં પણ તેની અસર જોવા મળી હતી. જોકે, રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે મિલકતને મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
છેલ્લા કેટલાક સમયથી અમરેલી અને ખાસ કરીને સાવરકુંડલા-ખાંભા પંથકમાં ભૂકંપના નાના-મોટા આંચકા આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અવારનવાર આવતા આ ’ભૂકંપના આંચકા’ને કારણે સ્થાનિકોમાં કાયમી ડર જોવા મળી રહ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ પંથકમાં આવેલી લોકલ ફોલ્ટ લાઈનમાં થતી હલચલને કારણે આ પ્રકારના આંચકા અનુભવાય છે.
