શહેરના સામાકાંઠે આવેલા સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં નવી બનેલી સાઈટના પહેલા માળેથી પટકાતાં ઓરીસ્સાના શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, રાજારામ સોસાયટી-1માં નવા બાંધકામની સાઇટ ચાલુ હોઈ અહિ પહેલા માળે મુળ ઓરીસ્સાનો હીમાસેન રામેશ્વર તરીયા (ઉ.વ.34) નામનો મજુર કામ કરતો હતો ત્યારે અકસ્માતે પગ લપસતાં પડી જતાં માથામાં ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ મારફત જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ. ટી. જીંજાળા સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવાન પરિણીત હતો. તેના પત્નિ, માતા-પિતા વતનમાં રહે છે. પોતે એકલો અહિ રહી મજૂરી કરતો હતો. બનાવથી સાથી મજૂરોમાં પણ શોક છવાઇ ગયો હતો.
