શહેરમાં સાડાત્રણ વર્ષ પૂર્વે આધેડ પ્રેમીકાને મળવા માયાણી આવાસ યોજનાના ક્વાર્ટર ખાતે ગયા હતાં ત્યારે પ્રેમીકાના સગા બે ભાઈઓ જોઈ જતાં આધેડ ઉપર લાકડી અને પાઈપ વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું.
જે ચકચારી હત્યા કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા કોર્ટે બહેનના પ્રેમીની હત્યા કરનાર બન્ને આરોપી સગાભાઈઓને તક્સીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં આવેલ શિવનગર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ બચુભાઈ ચૌહાણ નામના 50 વર્ષના આધેડને માયાણી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી સુધાબેન જગદીશભાઈ પરમાર સાથે પ્રેમ સબંધ હતો. જે અંગે સુધાબેન પરમારના ભાઈ રજનીસ અને રાહુલે બહેનના પ્રેમી રાજેશ ચૌહાણને તુ મારી બહેન સાથે કોઈ જાતનો સબંધ રાખતો નહીં તેમ કહી ધમકી આપી હતી.
ધમકી આપ્યાના બીજા જ દિવસે રાજેશભાઈ ચૌહાણ પ્રેમીકા સુધાબેન પરમારને મળવા માયાણી આવાસના ક્વાટરમાં જતા હતા ત્યારે સુધાબેનના ભાઈ રાહુલ અને રજનીસ રાજેશભાઈ ચૌહાણને જોઈ જતાં રાજેશભાઈ ચૌહાણ સાથે ઝઘડો કરી ગાળો ભાંડી હતી અને લાકડી અને પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. જે અંગે હુમલાખોર બન્ને શખ્સોએ સુધાબેનને તારા પ્રેમીને માર માર્યો હોવાનું જાણ કરી હતી. હુમલામાં ઘવાયેલા રાજેશભાઈ ચૌહાણને તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું મોત નિપજતા હુમલાખોર શખ્સો વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
ફરિયાદના આધારે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતાં. જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારપક્ષે તપાસ અધિકારી, મેડીકલ પેપર્સ અને સાહેદોની જુબાની લેવામાં આવી હતી. આઉપરાંત સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા દલીલકરવામાં આવી હતી કે, આરોપીઓએ રાજેશભાઈ ચૌહાણને માર માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં હોિસ્પિટલમાં સારવાર લીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જેથી કૃત્ય આરોપીઓએ જ કરેલું છે તેવું માનવું જોઈએ ફરિયાદીની ફરિયાદ ઉપરાંત બનાવ બાદ તુરંત ઘટના સ્થળે પહોંચેલ ફરિયાદીની દિકરી સાહેદ તેજલબેન વિજયભાઈ પરમારને તપાસેલ છે. તેમજ રૂબરૂ મરણ જનારે આરોપીઓએ તેને માર માર્યાની હકીકત જણાવેલ છે. તેને ઓરલ ડીડી ગણવું જોઈએ.
તેમજ ફરિયાદ પક્ષનો કેસ એવો પણ છે કે, આરોપીના બેન સુધાબેને બનાવ બાદ તરત સાહેદના ઘરે જઈ મારા બન્ને ભાઈઓ રજનીશ અને રાહુલે તમારા પિતાને માયાણી નગર પાસે માર માર્યો છે. અને તેઓની સોગંદપરની જુબાનમાં હુમલાખોર શખ્સો બન્ને તેના ભાઈઓ થતાં હોવાનું કબુલ રાખેલ છે. તે સિવાય કોઈ હકીકત આરોપીઓને બચાવવા તેઓ જણાવતા નથી સહિતની કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદા વડે ધ્યાને લઈ એડીશનલ સેશન્સ જજ એસ.વી. શર્માએ હત્યાના ગુનામાં બન્ને આરોપીઓને તક્સીરવાન થયેલી આજીવન સખદ કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની સરકાર પક્ષે સરકારી વકીલ સુનિતાબેન એન. અત્રી રોકાયા હતાં.
