દેશભરમાં ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત નજીક પથ્થરમારા થયો છે. સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન રવાના થયા બાદ ઉત્રાણ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક શખસે ટ્રેન પર પથ્થરો ફેંક્યા હતા.આ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યા હતા; તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં બેઠેલા હોવાથી તેઓ સુરક્ષિત રહ્યા.
આ ઘટના ગઈ કાલે સાંજે 6:30 થી 6:45 વાગ્યાની વચ્ચે બની હતી. પથ્થરમારાના કારણે ટ્રેનના C-6 અને C-10 કોચના કાચને નુકસાન થયું હતું અને કાચ ક્રેક થઈ ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.RPFની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેલ્વે ટ્રેક નજીક એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી.
VVIP મુસાફર સવાર હોવાની માહિતી વચ્ચે પથ્થરમારાના સમાચાર મળતાં જ રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. અંકલેશ્વર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી.
RPFની ટીમે ટ્રેક નજીકથી આશરે 30 વર્ષીય એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જોકે તેની ઓળખ અને પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
