રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં કાલાવડ રોડ પર રહેતા અને મોદી સ્કૂલ સામે સર્વિસ સ્ટેશન ચલાવતો યુવાન વોકિંગ પર નીકળ્યા હતો ત્યારે કણકોટ રોડ પર અજાણ્યો વાહન ચાલક અડફેટે લેતા મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી અજાણયા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છેે.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક પંડિત દીનદયાળ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ રણજીતસિંહ ચૌહાણ (ઉં.વ. 45) ગત તા. 17ના રોજ બપોરે ચારેક વાગ્યાં આસપાસ રામેશ્વર પાર્ટી પ્લોટ કણકોટ રોડ પર ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથે શરીરે ઇજા થતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરાયા હતા. જેનું ચાલુ સારવાર દરમ્યાન આજે સવારે સાત વાગ્યાં આસપાસ મોત નીપજ્યું હતું.
રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘનશ્યામસિંહ ચૌહાણ બે ભાઈમાં મોટા અને અપરણિત હતા. તેઓ મોદી સ્કૂલ સામે વાહનોનું સર્વિસ સ્ટેશન ચલાવતા હતા. પ્રૌઢ વોકિંગ માટે નીકળ્યા હતા ત્યારે બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાશી છૂટેલા અજાણયા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.
