શુભમન ગીલ ઝીરોમાં આઉટ, જાડેજા પણ સાત રન જ કરી શકયો
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આજથી સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે શરૂ થયેલા રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રની ટીમનો ધબડકો થયો છે અને માત્ર 47.1 ઓવરમાં 172 રન બનાવી આખી ટીમ તંબુભેગી થઇ ગઇ હતી.
જયારે જવાબમાં બેટીંગમાં ઉતરીની પંજાબની ટીમનો પણ ધબડકો થયો હતો અને 25 ઓવરમાં માત્ર 87 રનમાં પાંચ વિકેટ પડી ગઇ હતી. પંજાબના કેપ્ટન શુભમન ગીલ ખાતુ ખોલ્યા વગર પેવેલીયન ભેગા થઇ જતા ફેન્સ નિરાશ થયા હતા. જયારે સૌરાષ્ટ્રની ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ માત્ર સાત રન કર્યા હતા.
સૌરાષ્ટ્રે પ્રથમ બેટીંગ કરી હતી પરંતુ હાર્વિક દેશાઇ 13, ચિરાગ જાની 8, અર્પિત વસાવડા માત્ર 2 રનમાં પેવેલીયન ભેગા થઇ જતા સૌરાષ્ટ્રની 41 રનમાં ત્રણ વિકેટ પડી ગઇ હતી. તે સમયે રવિન્દ્ર જાડેજા બેટીંગમાં ઉતર્યો હતો. ક્રિકેટ રસીકોને આશા હતી કે તે મોટો સ્કોર કરશે. પરંતુ માત્ર 7 રનના સ્કોર ઉપર જાડેજા આઉટ થઇ જતા સૌરાષ્ટ્ર મુશ્કેલીમાં મુકાઇ ગયું હતું. જેથી જય ગોહીલે 9 ચોક્કા અને 3 છગા સાથે 82 રન ફટકારીને સૌરાષ્ટ્રની આબરૂ બચાવી હતી. પંજાબ વતી હરપ્રિત બ્રારે 6 વિકેટ ઝડપી હતી. જો કે પંજાબની શરૂઆત પણ ખરાબ થઇ હતી. ઓપનર હરનુરસિંઘ શુન્ય રને આઉટ થયો હતો. જો કે પ્રભશિમરનસિંહે 44 અને ઉદય સરને 23 રન કરીને બાજી સંભાળી હતી. પરંતુ તેના આઉટ થયા બાદ નેહલ વાઢેરા 6 અને સુકાની શુભમન ગીલ મીંડુ મુકાવીને આઉટ થતા પંજાબની ચાના સમયે પાંચ વિકેટ 87 રનમાં પડી ગઇ છે.
