ગુજરાત
રાજકોટ અગ્નિકાંડનો ફ્લોટ રથયાત્રામાંથી હટાવાયો
ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રામાં વિવાદ, બેનર પોલીસે ઉતાર્યા કે આયોજકોએ?
ગુજરાત મિરર, ભાવનગર તા.8
ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં સામેલ કરાયેલા વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં હરણી બોટ કાંડ, રાજકોટ ગેમઝોન અને તક્ષશિલા અગ્નિકાંડના વિષય પર તૈયાર કરવામાં આવેલા ટેબ્લોને લઈ ગરમાગરમી જોવા મળી હતી. ટેબ્લોમાં લગાવેલા બેનર્સ પોલીસે ફાડી નાખ્યાનો કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ ટેબ્લો તૈયાર કરનારે કહ્યું હતું કે, અમારો હેતુ તો વાલીઓને જાગૃત કરવાનો હતો. જો કે, આ બાબતને લઈ વધુ વિવાદ ન થાય તે માટે રથયાત્રાની આયોજક સમિતિ દ્વારા બંને ટેબ્લોને દૂર કરી દેવામાં આવ્યા હતા. ભાવનગરમાં આજે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા નીકળી હતી. જેમાં રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, હરણી બોટ કાંડ અને તક્ષશિલા અગ્નિકાંડને લગતા ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. ફ્લોટ્સમાં આકરા સવાલો ઉઠાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ, રથયાત્રા જ્યારે સરદારનગર વિસ્તારમાં પહોંચી ત્યારે આ ફ્લોટ્સ પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા બેનર્સ ઉતારી લેવામાં આવ્યા હતા.
અગ્નિકાંડના વિષય પર ફ્લોટસ તૈયાર કરનાર આઝાદ મિત્ર મંડળના મનીષ પરમારે કહ્યું હતું કે, ગુજરાતમાં એક બાદ એક બનતા અકસ્માતની ઘટના અંગે વાલીઓ જાગૃત થાય તે માટે અમે આ ફ્લોટ્સ તૈયાર કર્યો હતો. પરંતુ, પોલીસે જાણ્યા વગર બેનરો ફાડીને લઈ ગયા છે. અમે તંત્ર વિરોધી કંઈ લખ્યું નથી. 20થી 25 છોકરાઓએ 3 દિવસની મહેનતના અંતે આ ફ્લોટ્સ તૈયાર કર્યો હતો.
આ બાબતે ભાવનગર એસપી હર્ષદ પટેલે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા કોઈ બેનર ઉતારવામાં આવ્યા નથી. પો
લીસને ફ્લોટ્સ ઉતારવાની સત્તા નથી. ફ્લોટ્સ ઉતારવા કે રાખવાનો નિર્ણય રથયાત્રા સમિતિ કરતી હોય છે.
આ અંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, આવી દુ:ખદ ઘટનાઓથી લોકોમાં માનસિક રીતે દુ:ખ ઉત્પન્ન થાય છે. આ હર્ષનો ઉત્સવ છે એટલા માટે થઈને આ બનાવના જે બેનરો હતા તે હટાવવામાં આવ્યા છે, જગતના નાથની રથયાત્રા નીકળતી હોય ત્યારે આવા દુર્ઘટના હોય તે ફ્લોટ્સમાં નહીં દર્શાવવા જોઈએ.
ગુજરાત
રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ, અધિક જિલ્લા મેજિ.નું જાહેરનામું
શાપર અને મેટોડા જીઆઇડીસીમાં 500 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ: પ્રદૂષણ અટકાવવા માત્ર PESO અધિકૃત ફટાકડા જ વેચી શકાશે, ઓનલાઇન ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં
દીવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પ્રદુષણની વિપરીત અસરને પગલે સુપ્રિમ કોર્ટના હુકમોના પાલન માટે અને દીવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના કારણે આગ અને અકસ્માતોના બનાવો ન બને તેને ધ્યાને લઇ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજકોટ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ચેતન ગાંધી દ્વારા જાહેરનામું બહાર પાડી તા.21 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી આ જાહેરનામાની અમલવારી રહેશે જેમાં સુપ્રિમ કોર્ટના ગાઇડલાઇન મુજબ રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં. સિરીઝમાં જોડાયેલા ફટાકડા એટલે કે, લુમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી આવા ફટાકડા ફોડી શકાશે નહીં. હાનીકારક પ્રદુષણ રોકવા માટે માત્ર પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પીઇએસઓ) અધિકૃત બનાવટ વાળા ફટાકડા ઉત્પાદન અને વેંચાણ કરી શકાશે. આ ઉપરાંત વિદેશી ફટાકડાની હાયત કરી શકાશે નહીં કે વેંચાણ કરી શકશે નહીં.
ઓનલાઇન વેબસાઇટ ફ્લિપકાર્ડ, એમેઝોન સહિતની કોઇપણ વેબસાઇટ ઉપરથી ઓનલાઇન ફટાકડા વેંચી શકાશે નહીં. નેશનલ હાઇવે પર આવેલા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને મેટોડા જીઆઇડીસી વિસ્તારની 500 મીટરની હદમાં અને જ્વલનશીલ પ્રદાર્થના સંગ્રહ સ્થળની 100 મીટરની હદમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાગવવામાં આવ્યો છે. જ્યારે ચાઇનીઝ તુક્કલ, આતાશબાઝી બલુનનું વેંચાણ કે ઉત્પાદન કરી શકાશે નહીં. આ ઉપરાંત જાહેર રસ્તાઓ ઉપર ફટાકડા ફોડવા કે કોઇ વ્યક્તિ ઉપર ફેકનાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષિણક સંસ્થાઓ, ન્યાયલાયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના વિસ્તારને સાયલન્ટ ઝોન હોવાથી કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામાનું ભંગ કરનાર વિરુદ્ધ કાયેદસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત
મનપાના ફાયર વિભાગની 319 જગ્યાઓ માટે સીધી ભરતી થશે
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં ભરતી ફરજિયાત કરવી પડે તેવો ઘાટ ઘડાયો છે. જેની સામે હાલ ફાયર વિભાગમાં સીએફઓની જગ્યા પણ ખાલી છે. અને સ્ટાફમાં પણ મોટી ઘટ હોવાથી સરકાર દ્વારા ફાયર વિભાગમાં અલગ અલગ કેટેગરીની જગ્યાઓ ભરવા માટેના આદેશ આપતા મનપાએ હવે 319 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાનો નિર્ણય લઈ તા. 24-10થી 7-11 સુધી ઓનલાઈન અરજી કરવા માટે અરજદારોને અનુરોધ કર્યો છે.
મહાનગરપાલિકાના ફાયર વિભાગની માઠી બેઠી હોય તેમ અગ્નિકાંડ બાદ ઉચ્ચ અધિકારીઓ જેલભેગા થઈ ગયા છે અને આ પદ ઉપર આવવા માટે નવા અધિકારી તૈયાર નથી. સાથો સાથ અગ્નિકાંડ બાદ પણ એક અધિકારી લાંચમાં પકડાઈ ગયા છે. જ્યારે સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવેલ સીએફઓએ રાજકોટ આવવાનો નનૈયો ભણી લીધો છે. તેમજ સ્ટાફ પૂરતો ન હોવાથી સ્ટેશન ઓફિસરોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયાની વાતો કરવામાં આવેલ જેને અગ્નિકાંડ બાદ મંજુરી આપી દેવાયેલ છે.
સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ ફાયર વિભાગની ભરતીને મંજુરી અપાતા હવે મનપાએ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આગામી સમયમાં ફાયર ઇમરજન્સી સર્વિસીઝમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. જેમાં, ડીવિઝનલ ફાયર ઓફિસરની 4 જગ્યા, સ્ટેશન ઓફિસરની 5 જગ્યા, સબ ઓફિસરની 35 જગ્યા, ફાયર ઓપેરેટર (પુરૂૂષ)ની 247 જગ્યા એમ કુલ મળીને 319 જગ્યા માટે સીધી ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવનાર ઉમેદવારોએ તા:24/10/2024 થી 07/11/2024 સુધીમાં ઓનલાઇન માધ્યમથી વેબસાઇટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પર અરજી કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનપાની સ્ટેન્ડીંગમાં તાજેતરમાં 500થી વધુ મહેકમ ફાયર વિભાગમાં ભરવામાં આવે તેવી ચર્ચા હાથ ધરી મંજુરી આપવામાં આવી હતી. તેવી જ રીતે છેવાડાના વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશનો બનાવવામાં આવનાર હોય સ્ટાફની વધુ જરૂરિયાત ઉભી થવાનું હોવાથી અને હાલની ઘટ પુરતી કરવા સહિતની ચર્ચા હાથ ધરવામાં આવેલ અને આ અનુસંધાને ફાયર વિભાગમાં 319 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત
ધર્મ સ્થળો તોડશો તો અમારી પથારી ફરી જશે
મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ સમક્ષ ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની રજૂઆત, મેરેથોન બેઠક યોજી મુદ્દાવાઈઝ ચર્ચા
ટ્રાફિક અને ગેરકાયદેસર બાંધકામો પ્રત્યે લાલ આંખ કરી કોર્ટ દ્વારા રોડ ઉપર આવતા ધાર્મિક સ્થળો પણ તોડી નાખવાની સૂચના અપાઈ હતી. જેના લીધે મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા નદીકાંઠા વિસ્તાર તેમજ શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો અને નડતરરૂપ ધાર્મિક સ્થાનોને નોટીસ આપવામાં આવી છે. જેના પગલે ભારે ઉહાપો બોલી ગયો છે.
આપ્રકરણમાં મોટી બબાલ ન થાય અને ધર્મ સ્થાનો સ્થળો તોડવાથી રાજકીય પક્ષોને તકલીફ ન પડે તે માટે આજે ધારાસભ્ય અને મનપાના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિસનર સાથે મીટીંગ યોજી મુખ્ય માર્ગો પરના જરૂર પડ્યે તો દબાણો તોડવા તેમજ શેરી ગલીઓના ધાર્મિક સ્થળો ન તોડશો નહીં તો અમારી પથારી ફરી જશે તેવી રજૂઆતની સાથો સાથ નવા પ્લાન તથા કમ્પ્લીશન સહિતના સામાન્ય કામો પણ અટકી ગયાની નારાજગી વ્યક્ત કરી નકારાત્મક વલણ છોડવા મનપાના સ્ટાફને ટકોર કરી હતી. અને આ મુદ્દે પણ ચર્ચા હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ધાર્મિક સ્થળો અને ગેરકાયદેસર બાંધકામોના ડિમોલેશન કરવા માટે એકસાથે 900થી વધુ નોટીસો ઈસ્યુકરવામાં આવી છે. અને નોટીસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આ બાંધકામોનું ડિમોલેશન કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. જેના લીધે શહેર ભાજપના પેટમાં ફાડ પડી છે. અને ધાર્મિક સ્થળો તુટે તો લોકો નારાજ થઈ જાય અને આ મારાજગી વહોરવી ન પડે તે માટે આજે ધારાસભ્ય તેમજ શહેર ભાજપ પ્રમુખ અને મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના પદાધિકારીઓનો કાફલો મ્યુનિસિપલ કમિશનર પાસે દોડી ગયો હતો.
બંધ બારણે યોજાયેલ મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવેલ જેની વિગત જાણકારોએ જણાવ્યા મુજબ ભાજપના ધારાસભ્ય અને પદાધિકારીઓએ મ્યુનિસિપ કમિશનરને ધર્મ સ્થળો તોડશો તો અમારી પથારી ફરી જશે તેમ કહ્યું હતું. અને સાથો સાથ જરૂર પડે તો મુખ્ય માર્ગો ઉપર નડતર રૂપ ધાર્મિક સ્થળો તોડવામાં આવે પરંતુ લોકોની ધાર્મિક લાગણી દૂભાતી હોય તેવા સોસાયટીઓને શેરીઓના ધાર્મિક સ્થળો તોડવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી અને સાથો સાથ લલુડી વોકળીના દબાણો અંગે પણ ધારાસભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવેલ બંધ બારણે યોજાયેલ મીટીંગમાં ભાજપના શાસકો દ્વારા આડકતરી રીતે ધાર્મિક સ્થળોનું ડિમોલેશન ન કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને ભારપૂર્વક સમજાવ્યા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
છતાં મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે ચર્ચા કરી જોઈ લેશું તે પ્રકારનો જવાબ આપ્યો હતો. આથી મેરેથોન મીટીંગ બાદ પણ શાસકપક્ષના સભ્યો અકળાયેલા જોવા મળ્યા હતાં અને પદાધિકારી વિભાગમાં ગયા બાદ મેયર ચેમ્બરમાં સ્ટેન્ડિગ ચેરમેન તથા શહેર ભાજપ દ્વારા મીટીંગ યાોજી બંધ બારણે ચર્ચા કરવામાં આવી હતી. જેના પડઘા આગામી દિવસોમાં જોવા મળે તેવું લાગી રહ્યું છે.
હેલ્મેટ અને ધાર્મિક સ્થળો મુદ્દે ભાજપ ભેરવાયું
શહેરના ગેરકાયદેસર બાંધકામો તેમજ ધાર્મિક સ્થળો દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા ટૂંક સમય દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. પરંતુ ધાર્મિક સ્થળો તોડવામાં આવે તો શહેરીજનોની નારાજગી વહોરવા ભાજપ તૈયાર નથી. અને આ મુદ્દે આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. સુત્રોના જણાવ્યા મુજબ રજૂઆત દરમિયાન એવુ પણ સંભળાયેલ કે, હાલમાં હેલ્મેટ પ્રકરણે પણ દોડતા કરી દીધા છે અને હવે ધાર્મિક સ્થળોનો ઈસ્યુ ઉભો થયો છે આથી ઝડપથી આ મુદ્દે ઘટતુ કરવામાં આવે આમ ધર્મિક સ્થળો અને હેલ્મેટ મુદ્દે શહેર ભાજપ ભેરવાઈ ગયું હોવાનું પણ ચર્ચા જાગી છે.
પદાધિકારીઓએ અલગથી ફરી મિટિંગ યોજી
રાજકોટ શહેરમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તેમજ ધાર્મિક સ્થળો દૂર કરવા માટે નોટીસો આપવામાં આવી છે. તેમજ થોડા સમય પહેલા એક ધાર્મિક સ્થળ હટાવતા મોટી બબાલ થઈ હતી. અને આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી દ્વાસા ઉચ્ચકક્ષાએ નોંધ લેવાઈ હોય તેમ આજે ધારાસભ્ય શહેર ભાજપપ્રમુખ તેમજ પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી ધાર્મિક સ્થળ ન હટાવવા પડે તે મુદ્દે ચર્ચા કરી હતી. છતાં મીટીંગમાં સંતોષકારક જવાબ ન મળ્યો હોય તેવું લાગ્યું હતું અને આ મુદ્દે મેયર ચેમ્બરમાં સ્ટેન્ડીંગ ચેરમેન સહિતનાએ બેઠક યોજી આગળના ક્યા પ્રકારના પગલા લેવા તે સહિતના મુદ્દે ચર્ચા થઈ હોવાનું જાણવા મળેલ છે.
રજૂઆત કે, ગર્ભિત ધમકી ?
રાજકોટ શહેરને રણીયામણુ અને સુંદર બનાવવા માટે પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા મહાનગરપાલિકાના સ્ટાફ સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. પરંતુ દબાણો હટાવવા સહિતના મુદદ્દે તંત્ર દ્વારા ક્યારેક પ્રજાને ન ગમતી કામગીરી પણ કરવામાં આવતી હોય છે. જેના થકી પ્રજાની જ મુશ્કેલીઓ દૂર થતી હોય છે. છતાં આ પ્રકારની કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપો થતાં હોવાનું પણ અનેક વખત બહાર આવ્યું છે. જેમાં આજે પણ આ પ્રકારની ઘટના બની હોય તેવું અમુક લોકોએ અનુભવ્યું હતું. ધાર્મિક સ્થળો દૂર કરવા સહિતના મુદ્દે શહેર ભાજપના આગેવાનો તેમજ શાસકપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવે અને અમારી પથારી ફરી જશે તેવા શબ્દોનો ઉપયોગ પણ થયાનું જાણકારો કહી રહ્યા છે. અને સાથો સાથ હાંઉ રાખજો તેવુ પણ બોલવામાં આવેલ આથી આજે ધાર્મિક સ્થળોના ડિમોલેશન મુદ્દે યોજાયેલ મીટિંગમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતની સાથો સાથ ગર્ભીત ધમકી અપાઈ હોય તેવી પણ ચર્ચા જાગી છે છતાં કાયમ માટે સત્તાધીશોના હુકમનું પાલન કરતા અધિકારીઓ આ મુદ્દે કેવુ વલણ અપનાવશે તે તરફ સૌની મીટ મંડાઈ છે.
-
આંતરરાષ્ટ્રીય15 hours ago
McDonald બર્ગર ખાવાથી ફેલાયો આ ખતરનાખ વાયરસ, એકે જીવ ગુમાવ્યો-અનેક લોકો થયાં બીમાર
-
રાષ્ટ્રીય2 days ago
શેરબજારમાં સતત કડાકા, સેન્સેક્સ 1300 અંક તૂટ્યો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
સમજૂતી બાદ આર્મી ચીફનું પહેલું નિવેદન, જાણો ચીને શું કર્યું
-
આંતરરાષ્ટ્રીય1 day ago
અમેરિકાના સિએટલમાં ગોળીબાર, પાંચનાં મોત, કિશોરની ધરપકડ
-
ગુજરાત1 day ago
શહેરના 87 હોકર્સઝોન માટે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી બનાવાશે
-
ગુજરાત1 day ago
દંડ ભલે ભરવો પડે પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરશું: વધુ 53 પકડાયા
-
રાષ્ટ્રીય18 hours ago
ચેઈન સ્નેચિંગનો ચોંકાવનારો કિસ્સો!!! બાઈક સવાર 2 શખ્સોએ ચેઈન ન તૂટતા મહિલાને કેટલાય મીટર સુધી ઢસડી, જુઓ VIDEO
-
ગુજરાત1 day ago
સ્વામિનારાયણ મંદિર સામેનો બહુચર્ચિત રસ્તો ખૂલશે