ગુજરાત
રાજકોટ અગ્નિકાંડનો ફ્લોટ રથયાત્રામાંથી હટાવાયો
ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રામાં વિવાદ, બેનર પોલીસે ઉતાર્યા કે આયોજકોએ?
ગુજરાત મિરર, ભાવનગર તા.8
ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં સામેલ કરાયેલા વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં હરણી બોટ કાંડ, રાજકોટ ગેમઝોન અને તક્ષશિલા અગ્નિકાંડના વિષય પર તૈયાર કરવામાં આવેલા ટેબ્લોને લઈ ગરમાગરમી જોવા મળી હતી. ટેબ્લોમાં લગાવેલા બેનર્સ પોલીસે ફાડી નાખ્યાનો કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ ટેબ્લો તૈયાર કરનારે કહ્યું હતું કે, અમારો હેતુ તો વાલીઓને જાગૃત કરવાનો હતો. જો કે, આ બાબતને લઈ વધુ વિવાદ ન થાય તે માટે રથયાત્રાની આયોજક સમિતિ દ્વારા બંને ટેબ્લોને દૂર કરી દેવામાં આવ્યા હતા. ભાવનગરમાં આજે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા નીકળી હતી. જેમાં રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, હરણી બોટ કાંડ અને તક્ષશિલા અગ્નિકાંડને લગતા ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. ફ્લોટ્સમાં આકરા સવાલો ઉઠાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ, રથયાત્રા જ્યારે સરદારનગર વિસ્તારમાં પહોંચી ત્યારે આ ફ્લોટ્સ પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા બેનર્સ ઉતારી લેવામાં આવ્યા હતા.
અગ્નિકાંડના વિષય પર ફ્લોટસ તૈયાર કરનાર આઝાદ મિત્ર મંડળના મનીષ પરમારે કહ્યું હતું કે, ગુજરાતમાં એક બાદ એક બનતા અકસ્માતની ઘટના અંગે વાલીઓ જાગૃત થાય તે માટે અમે આ ફ્લોટ્સ તૈયાર કર્યો હતો. પરંતુ, પોલીસે જાણ્યા વગર બેનરો ફાડીને લઈ ગયા છે. અમે તંત્ર વિરોધી કંઈ લખ્યું નથી. 20થી 25 છોકરાઓએ 3 દિવસની મહેનતના અંતે આ ફ્લોટ્સ તૈયાર કર્યો હતો.
આ બાબતે ભાવનગર એસપી હર્ષદ પટેલે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા કોઈ બેનર ઉતારવામાં આવ્યા નથી. પો
લીસને ફ્લોટ્સ ઉતારવાની સત્તા નથી. ફ્લોટ્સ ઉતારવા કે રાખવાનો નિર્ણય રથયાત્રા સમિતિ કરતી હોય છે.
આ અંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, આવી દુ:ખદ ઘટનાઓથી લોકોમાં માનસિક રીતે દુ:ખ ઉત્પન્ન થાય છે. આ હર્ષનો ઉત્સવ છે એટલા માટે થઈને આ બનાવના જે બેનરો હતા તે હટાવવામાં આવ્યા છે, જગતના નાથની રથયાત્રા નીકળતી હોય ત્યારે આવા દુર્ઘટના હોય તે ફ્લોટ્સમાં નહીં દર્શાવવા જોઈએ.