શહેરમાં ખોખડદળ નદી પાસે આવેલ જડેશ્ર્વર વિસ્તારમાં રહેતાં આધેડ હુડકો ચોકડીથી ખોખડદળ તરફ પોતાની રીક્ષા લઈ જતાં હતાં ત્યારે હુડકો ચોકડીએથી એક મુસાફર રિક્ષામાં બેઠો હતો. રિક્ષા ચાલક આધેડે જડેશ્ર્વર પાસે પહોંચી ભાડાના 10 રૂપિયા માંગ્યા હતાં. પરંતુ મુસાફરે ભાડુ આપવાના બદલે રિક્ષા ચાલક ઉપર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપ સાથે આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ખોખડદળ નદી પાસે આવેલ જડેશ્ર્વર વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ હિરાભાઈ વ્યાસ નામના 50 વર્ષના આધેડે સાંજના છએક વાગ્યાના અરસામાં જડેશ્ર્વર વિસ્તારમાં હતાં ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી પથ્થરમારો કર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં ગોપાલભાઈ વ્યાસ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે ગોપાલભાઈ વ્યાસ હુડકો ચોકડીથી ખોખડદળ તરફ પોતાની રીક્ષા લઈ જતાં હતાં ત્યારે હુડકો ચોકડીએથી એક મુસાફર રિક્ષામાં બેઠો હતો. ગોપાલભાઈ વ્યાસે હુડકો ચોકડીથી જડેશ્ર્વર સુધી રીક્ષા ભાડાના રૂા.10ની માંગણી કરી હતી. પરંતુ અજાણ્યા મુસાફરે રીક્ષા ભાડુ આપવાના બદલે પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
