સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી જવાની એક દુર્ઘટના બની છે. વરિયાવ પાસે 2 વર્ષનું બાળક ગટરમાં પડવાના 12 કલાક ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં 2 વર્ષીય બાળક કેદારનો કોઈ અત્તો પત્તો લાગ્યો નથી. ફાયરની ટીમે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. મનપાની ઘોર બેદરકારી કારણે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે.
સુરતના વરિયાવ પાસે 2 વર્ષનો કેદાર વેગડ તેની માતા સાથે બહાર ગયો હતો. જ્યાં આઇસ્ક્રીમ લેવા માટે તે અચાનક માતાનો હાથ છોડાવી ભાગ્યો કે 120 ફૂટના રોડ પર ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. સ્થાનિકોએ તરત જ બાળકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ તેમના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. આ ઘટનાની જાણ તંત્રને થતાં બાળકને શોધવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનોને ગટરમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ 12 કલાકનો સમય પછી પણ બાળકનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી. હવે ગટરમાંથી પાણી કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
મનપાની બેદરકારીને કારણે આવા બનાવો વારંવાર બનતા હોય છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ખુલ્લા ગટરો બંધ કરવા અને સુરક્ષાત્મક પગલાં ભરવા માંગ કરાઈ રહી છે. શોધખોળની કામગીરી ચાલુ છે અને બચાવ દળો દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
