શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં મહેશભાઈ મેઘજીભાઈ વરમોરા નામના 56 વર્ષના આધેડ મધરાત્રે પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક આધેડ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા બે સ્થળે બે લોકોના બેભાન હાલતમાં મોત નિપજ્યા છે. જેમાં બાલાજી હોલ પાસે પટેલ પાર્કમાં મહેન્દ્રભાઈ રતિભાઈ પાલડીયા (ઉ.45) અને પડધરીના સુવાગ ગામે મેરામભાઈ હંસરાજભાઈ વણોદરીયા (ઉ.45) સુરત સંબંધીના ઘરેથી બસમાં બેસી પરત આવતાં હતાં ત્યારે ખીરસરા પાસે બેભાન થઈ જતાં મોત નિપજ્યું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
