રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા શાપર (વેરાવળ)નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પગપાળા શાકભાજી લેવા જતા બીહારી આધેડને અજાણયો વાહન ચાલક ઉલાળી ફરાર થઇ જતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારના અને હાલ શાપર (વેરાવળ)માં રહેતા છોટુશા મેવાશા શાહ (ઉ.વ.50)નામના આધેડ ગત તા.30/12ના સવારે ચાલીને મચ્છી માર્કેટ પાસે શાકભાજી લેવા જતા હતા ત્યારે કોઇ અજાણયો વાહન ચાલક તેમને અડફેટે લઇ નાશી છુટયો હતો. આ અકસ્માતમાં આધેડને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર (વેરાવળ)પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી અજાણયા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
શાપર વેરાવળ પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા વાહન ચાલકને ઝડપી લેવા સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ હાથ ધરી છે. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આજીડેમ ચોકડી પાસે હિટ એન્ડ રનમાં મૃતકની ઓળખ મળી
શહેરની ભાગોળે આજીડેમ ચોકડી નજીક ગત તા.28/12ના રસ્તો ઓળગતા યુવાનને અજાણયા વાહન ચાલકે અડફેટે લેતા તેનુ મોત નિપજ્યુ હતું. આ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જેમાં મૃતક યુવાન ભારતી નગર શેરી નં.19માં રહેતો ગોવિંદ રાજભર (ઉ.વ.33) હોવાનુ ખુલવા પામ્યુ છે. મૃતક ત્રણભાઇ ચાર બહેનમાં વચેટ અને બફના કારખાનામાં કામ કરતા હતો. તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
