યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા અને હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની મોબ લિંચિંગ પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ઝડપથી બગડી છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજધાની ઢાકામાં હિંસા ચાલુ છે. બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ, ઇસ્લામિક કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે, જેમાં ભારતને નિશાન બનાવવામાં આવ્યું છે. બાંગ્લાદેશની પરિસ્થિતિના જવાબમાં, ભારતે ચિત્તાગોંગમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રમાં વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી. આ પછી બાંગ્લાદેશે પણ કોન્સ્યુલર અને વિઝા સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી.
રશિયાએ હવે બંને દેશો વચ્ચે વધતા તણાવ પર પ્રતિક્રિયા આપી છે. રશિયાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સંબંધો સુધારવા માટે જેટલું વહેલું કામ કરશે તેટલું સારું.
બાંગ્લાદેશમાં રશિયન રાજદૂત એલેક્ઝાન્ડર જી. ખોઝિને સોમવારે બાંગ્લાદેશ અને ભારતને બંને દેશો વચ્ચે તણાવને વધુ વધતો અટકાવવાનો માર્ગ શોધવા વિનંતી કરી.
ઢાકામાં રશિયન દૂતાવાસમાં એક પત્રકાર પરિષદમાં બોલતા ખોઝિને કહ્યું કે બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓ પહેલાં અનુકૂળ વાતાવરણ બનાવવું જરૂરી છે, અને ભારત સાથે તણાવ ઓછો કરવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, “આ જેટલું વહેલું થાય તેટલું સારું.”
તેમણે સ્પષ્ટતા કરી કે રશિયા બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં દખલ કરવા માંગતું નથી, પરંતુ માને છે કે વર્તમાન સ્તરથી વધુ તણાવ વધતો ટાળવો સમજદારીભર્યું રહેશે.
ખોઝિનેએ વાત પર પણ ભાર મૂક્યો કે દ્વિપક્ષીય સંબંધો પરસ્પર વિશ્વાસ પર આધારિત હોવા જોઈએ.
