કરાર વગર હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે, બેઠકમાં ઇરાન આવશે કે નહીં તે અંગે અસ્પષ્ટતા
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ગઇકાલે તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથેનો વર્તમાન યુદ્ધવિરામ આગામી બુધવાર સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે. ટ્રમ્પે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો ઈરાન તેમની ડીલનો સ્વીકાર નહીં કરે, તો આ કરારને આગળ વધારવાની કોઈ સંભાવના નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ઉતાવળમાં કોઈ નબળો કે ખરાબ સોદો કરવા માંગતા નથી.
સીએનએનના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં બીજા તબક્કાની મંત્રણા માટે ઈરાન તૈયાર હોવાનું જણાવાયું છે. આ સંભવિત વાટાઘાટો માટે અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ મંગળવારે પાકિસ્તાન જવા રવાના થશે. બીજી તરફ, ટ્રમ્પે એલાન કર્યું છે કે જ્યાં સુધી શાંતિ સમજૂતીને આખરી ઓપ આપવામાં નહીં આવે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે. ઈરાન આ જળમાર્ગ ખોલવાની માંગ કરી રહ્યું છે, પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે કરાર વગર આ શક્ય નથી.
એક ટીવી ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધનો ડર બતાવતા કહ્યું કે, જો બુધવાર સુધીમાં કોઈ સમજૂતી નહીં થાય અને યુદ્ધવિરામ પૂરો થશે, તો મોટા પાયે હુમલા અને બોમ્બધડાકા શરૂૂ થઈ શકે છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાનારી બેઠકમાં ઈરાનના પ્રતિનિધિઓ આવશે કે નહીં, તે અંગે તેમણે અસ્પષ્ટતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે અમેરિકા તો વાતચીત માટે તૈયાર જ છે, હવે બધો આધાર ઈરાન પર છે કે તેઓ ચર્ચા માટે આવે છે કે નહીં.
