જામનગરના સિક્કા ગામમાં એક વિધવા મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે હત્યારો હોટલ સંચાલક અને હત્યામાં વપરાયેલી તલવાર કબજે કરી છે. સિક્કાની પંચવટી સોસાયટીમાં રહેતા 36 વર્ષીય નીલમબેન મહેશભાઈ અશવારની ત્રણ દિવસ પહેલા તલવારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.
મૃતકના ભાઈ જયદીપભાઈ અરવિંદભાઇ વ્યાસે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તેમણે સિક્કા હાઇવે રોડ પર હોટલ ચલાવતા સુખદેવસિંહ વીરાજી જાડેજા સામે પોતાની બહેનની હત્યાનો આરોપ મૂક્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ મૃતક મહિલા પાસે અઘટિત માંગણીઓ કરી હતી. નીલમબેને આ માંગણીઓનો ઇનકાર કર્યો હતો. આરોપીને મૃતક મહિલાના અન્ય વ્યક્તિ સાથેના સંબંધની શંકા હતી. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઉશ્કેરાટમાં આરોપીએ મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. સિક્કા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂૂ કરી છે.
