અજાણ્યા રિક્ષા ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; વૃધ્ધનું સારવારમાં મોત
પોરબંદરમાં છાયા મેઈન રોડ પર રહેતાં એડવોકેટ કોર્ટથી બપોરના સમયે પોતાનું સ્કુટર લઈ ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે કમલાબાગ પાસે અજાણ્યા રીક્ષા ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા એડવોકેટનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, છાયા રોડ પર રહેતાં એડવોકેટ વિજયભાઈ કનૈયાલાલ પંડયા નામના 72 વર્ષના વૃધ્ધ ગત તા.12નાં રોજ બપોરના સમયે પોતાનું ઈલેકટ્રીક સ્કુટર લઈ કમલાબાગ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા એડવોકેટ વિજયભાઈ પંડયાને સારવાર માટે પોરબંદર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક વિજયભાઈ પંડયા વકીલાત કરતાં હતાં અને તેમને પુત્ર પણ વકીલાતનું પ્રેકટીસ કરે છે. વિજયભાઈ પંડયા કોર્ટથી ઘરે જતાં હતાં ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે ઠોકરે ચડાવતાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
