ગુજરાત
હાર્ટએટેકનો ફૂંફાડો: મંદિરમાં પૂજા કરતા વિકલાંગ યુવાન સહિત 5 મોત
જંગલેશ્ર્વરનો 19 વષીર્ર્ય યુવાન પિતાના ભંગારના ડેલે ખુરશીમાં બેઠો હતો ને ઢળી પડયો
ઉદયનગરના મહિલા, પડધરી અને ટંકારા પંથકના બે આધેડના હૃદય થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે રાજકોટમાં છેલ્લા બે દિવસથી હાર્ટએટેકના બનાવો વધી રહ્યાં છે જેમાં ગઈકાલે મહિલા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા બાદ આજે હાર્ટએટેકે ફુફાડો માર્યો હોય તેમ વધુ પાંચ લોકોના મોત નિપજતાં હાહાકાર મચી ગયો છે. ત્રંબા ગામે મંદિરમાં સેવા પૂજા કરતા વિકલાંગ યુવાન, જંગલેશ્ર્વરનો 19 વર્ષિય યુવાન, ઉદયનગરની મહિલા, પડધરી અને ટંકારા પંથકના બે આધેડના હૃદય ધબકારા ચુકી ગયા હતાં. એક જ દિવસમાં પાંચ લોકોના હાર્ટએટેકના કારણે મોત નિપજતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
જાણવા મળતી વિગત મુજબ, ત્રંબા ગામે ત્રિવેણી સંગમ ખાતે ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિર નજીક પીપળાના ઝાડ નીચે યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો જેણે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ દિગપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતાં મૃતક ત્રંબામાં ત્રિવેણી સંગમ પાસે મંદિરની ઓરડીમાં રહેતો નિતીન ભુપતભાઈ આસુંદ્રા (ઉ.30) હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં ગામમાં રહેતા તેના પરિવારજનો દોડી આવ્યા હતાં. મૃતક નિતીન બન્ને પગે વિકલાંગ હોય તે ત્રણ ભાઈ એક બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. છેલ્લા છ મહિનાથી તે મંદિરની ઓરડીમાં રહી સેવા પુજા કરતો હતો. મોડી રાત્રે અથવા સવારના સમયે ઓરડીની બહાર નીકળતાં ઝાડ નીચે હાર્ટએટક આવી જતાં તેનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં મુળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ જંગલેશ્ર્વરમાં ગોકુલનગર શેરી નં.3માં રહેતો નાજીમ સમસુદીન અંસારી (ઉ.19) નામનો યુવાન આજે સવારે અટીકા ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં તેના પિતાના ભંગારના ડેલે ખુરશી પર બેઠો હતો ત્યારે બેઠા બેઠા જ ઢળી પડતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. તબીબોએ હાર્ટએટેકના કારણે મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને તેણે ધો.12 સુધીનો અભ્યાસ કર્યાનું જાણવા મળ્યું છે. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
ત્રીજા બનાવમાં મવડી ચોકડી પાસે ઉદયનગર શેરી નં.2માં રહેતા ભાવનાબેન ચંપકભાઈ નિમાવત (ઉ.50) નામના મહિલા ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે અચાનક બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં તેમને ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. મૃતક ભાવનાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું અને હાર્ટએટેક આવતાં તેમનું મોત થયાનું જાણવા મળ્યું છે.
ચોથા બનાવમાં પડધરી તાલુકાના ઉકરળા ગામે રહેતા રમેશભાઈ માવજીભાઈ સાકરીયા (ઉ.46) નામના આધેડ ગઈકાલે રાત્રે પોતાના ઘરે હતાં ત્યારે હાર્ટએટેક આવતાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક રમેશભાઈ બે બહેનોના એકના એક ભાઈ હોવાનું અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાંચમાં બનાવમાં ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે રહેતા શૈલેષભાઈ કાનજીભાઈ દુબરીયા (ઉ.49) નામના આધેડનું હાર્ટએટેક આવતાં સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ