જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોના બેભાન હાલતમાં મોત
શહેરમાં સદર બજાર વિસ્તારમાં આવેલ ઠક્કરબાપા હરીજનવાસમાં રહેતી અસ્થિર મગજની યુવતીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. યુવતીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સદરબજાર વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા હરીજનવાસમાં રહેતી નઝમાબેન મહમદ હનીફભાઈ શેખ નામની 38 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી બે ભાઈ એક બહેનમાં નાની અને અપરિણીત હતી. મૃતક યુવતી માનસિક બિમારીમાં સપડાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોના બેભાન હાલતમાં મોત નિપજ્યા છે. જેમાં કુવાડવા રોડ પર જય ગુરૂદેવ પાર્કમાં રહેતા મધુબેન પ્રેમજીભાઈ ડોબરીયા (ઉ.53), ભવનાથ પાર્કમાં રહેતા કિશોરભાઈ જીવાભાઈ લીલા (ઉ.58), બાબરીયા કોલોનીમાં રહેતા જેનાબેન જમીલભાઈ (ઉ.78) અને હોસ્પિટલ ચોકમાં 45 વર્ષિય પ્રૌઢનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
