રાજકોટ શહેરની અંદર બેફામ દોડતા વાહનો અવારનવાર અકસ્માતો સર્જતા રહે છે. ક્યારેક આ અકસ્માત કાળજુ કંપાવતા પ્રાણઘાતક અકસ્માતમાં પરીણમે છે. ગઈકાલે શહેરના માલવીયાનગર સર્કલ પાસે ફુટપાથ પર રિક્ષાની રાહ જોઈને બેસેલા શ્રમિક પરિવારને બેફામ અને પુરપાટ વેગે ધસી આવેલી કારના ચાલકે હડફેટે લેતા પાંચ માસના બાળક સહિત ચારને ઈજા થઈ હતી.
એ ડીવીઝન પોલીસે આ મામલે ઘુઘાભાઈ રણછોડભાઈ સાથળીયા (ઉ.વ.39, રહે. ખોડીયારનગર, જામ બરવાળા, તા.બાબરા)ની ફરિયાદ પરથી સ્વીફ્ટ કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.મજુરી કરતાં ઘુઘાભાઇએ પોલીસને જણાવ્યું કે, તેને 4 સંતાનો છે. જેમાં મોટો પડી (ઉ.વ.7), તેનાથી નાનો પીયુશ (ઉ.વ.5), તેમના નાની પુત્રી પ્રિયાંશ (ઉ.વ.4) અને સૌથી નાનો જગદીશ (પાંચ માસ) છે. ગઈકાલે પત્ની સેજલ અને ચારેય સંતાન સાથે ખોડીયારનગર જવા માટે માલવીયા સર્કલ પાસે રિક્ષાની રાહ જોતાં ફુટપાથ પર બેઠા હતા. ત્યારે સામેની સાઈડ તરફથી બેફામ અને પુરપાટ વેગે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે વળાંક લેતી વખતે કાબુ ગુમાવતા કારન તે જ્યાં બેઠા હતા તે ફુટપાથ પર ચઢાવી દીધી હતી.
જેમાં તેની પત્ની અને પાંચ માસનો પુત્ર જગદીશ કાર નીચે આવી ગયા હતા. જ્યારે પીયુશ અને પ્રિયાંશીને પણ ઈજા પહોંચી હતી. લોકો એકઠા થઇ જતાં કાર ચાલક સાથે તેમણે કારને ઉચી કરીને પત્ની અને પુત્ર જગદીશને બહાર કાઢી હતી. બાદમાં તેની પત્ની, બંને પુત્રો અને પુત્રીને ઇજા થતા હોસ્પિટલમા ખસેડાયા હતા.
