જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે પ્રમુખ મેવબેન ગરચરના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં યોગ્યરીતે કામ ન કરનારા અધિકારીઓને દંડ કરવાના પ્રશ્ને શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બેઠકમાં ડીડીઓ અંકિત પશુ અને ધારાસભ્ય હેમંત ખવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અગાઉની સામાન્ય સભામાં થયેલા ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત, 10 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી મળેલી વિવિધ સમિતિઓની બેઠકોને બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી મેજ ડાયરીના ખર્ચને પણ મંજૂરી અપાઈ હતી અને કેટલાક કામો અંગે ચર્ચા થઈ હતી. સભામાં આયુર્વેદિક શાખા હસ્તકના વિભાપરના નવા મકાન બાંધવા, પંચાયત કર્મચારી સંઘ જામનગરને માન્યતા આપવા અને સંઘના બંધારણને બહાલી આપવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. 15મા નાણાપંચના કામોમાં ફેરફાર કરવા, સ્ટેમ્પ ડ્યુટીના મંજૂર થયેલા કામોનું પુનરાયોજન કરવા, અને રેતી રોયલ્ટીના ગ્રાન્ટમાંથી કામોનું આયોજન કરવા અંગે પણ પ્રસ્તાવ રજૂ કરાયા હતા.
આરોગ્યના ’સ્વસ્થ મૉં અને શિશુ’ પ્રોજેક્ટને સામાન્ય સભામાં લેવા તેમજ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં વણવપરાયેલી ગ્રાન્ટની રકમમાંથી વિકાસના કામોનું ફરીથી આયોજન કરવા માટે પણ ચર્ચા થઈ હતી. ધારાસભ્ય હેમંત ખવાએ પણ કેટલાક કામો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
અધિકારીઓ પર પગલાં લેવા બાબતે ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે, કોઈપણ કર્મચારી છે તે પ્રજાલક્ષી કામ ન કરતો હોય તો તેમના વિરૂૂદ્ધ પગલા લેવા જ જોઈએ. પણ કાયદાકીય રીતે પગલા લેવા જોઈએ. તેમને પ્રથમ ત્રણ નોટીસ બજવવી જોઈએ. ત્યારબાદ એજન્ડામાં મુદ્દો લેવો જોઈએ જે બાદ ચર્ચાના અંતે તેમના વિરૂૂદ્ધ ટોકન દંડ કે સરકારમા પરત મોકલવાની દરખાસ્ત કરી શકો. જોકે, આ તમામ નિયમોને નેવે મુકી જે પ્રમાણે પગલા લેવાની વાત કરી તે ગેરવ્યાજબી છે.
