રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહેસાણામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર સરકારી બસ અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે. જ્યારે અન્ય છ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના અંગેની મળતી વિગતો મુજબ મહેસાણા જિલ્લાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર આવેલા સંભવનાથ મહાદેવ પાસે આજે બસ અને ઇકો ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. અને ઇકોમાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢ્યા હતા.અને મળતી માહિતી મુજબ સરકારી બસ અંબાજીથી રાજપીપળા જતી હતી.
