ગુજરાતમાથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણ રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, માછરડા, હકુમતી સરવાણીયા સહિતના ગ્રામ્ય પંથકમાં લાભ પાંચમના દિવસે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના પગલે જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.અચાનક વરસેલા આ વરસાદથી વાતાવરણમાં તાત્કાલિક ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી તથા બફારાથી મોટી રાહત અનુભવાઈ હતી.
આ કમોસમી વરસાદે ગ્રામ્ય પંથકમાં ભલે ઠંડક આપી હોય, પરંતુ ખેતી ક્ષેત્ર માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને જે ખેડૂતોએ શિયાળુ પાકોની તૈયારી કરી દીધી છે અથવા જે પાક તૈયાર થઈ ચૂક્યો છે, તેમને આ અણધાર્યા વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
