ગોંડલમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃધ્ધનું મોત
ઉનામાં અગાસી ઉપરથી અકસ્માતે નીચે પટકાયેલા વૃધ્ધાએ રાજકોટ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉનામાં 80 ફુટ રોડ પર આવેલા એમ.કે.પાર્કમાં રહેતા ટમુબેન મેરામણભાઈ તરકબાલા નામના 62 વર્ષના વૃધ્ધા પોતાના ઘરે અગાસી ઉપર ઉભા હતાં ત્યારે ચક્કર આવતાં નીચે પટકાયા હતાં. વૃધ્ધાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલમાં આવેલા હોસ્પિટલ ચોકમાંથી રામજી ભગત નામના 65 વર્ષના વૃધ્ધ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધે દમ તોડી દેતાં પરિવાર શોક મગ્ન થઈ ગયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
