30ના 40 લાખ ચૂકવ્યા છતાં ધમકીઓ મળતા પગલું ભર્યુ, યુવકની પત્નીની પાંચ શખ્સો સામે ફરિયાદ
જામનગર માં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા એક યુવાને ગઈકાલે સંગમ બાગ પાસે જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લેતાં તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ યુવાનના પત્નીએ પોતાના પતિએ જુદા જુદા પાંચ વ્યક્તિ પાસેથી રૂા. 30 લાખ અલગ અલગ સમયે વ્યાજે લીધા પછી રૂા. 40 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં વધુ વ્યાજ અને મુદ્દલની માગણી કરી પજવણી કરાતી હોવાથી આત્મહત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક નજીક ગોકુલ દર્શનની શેરી નં.3 માં રહેતા લાલજીભાઈ સવજીભાઈ મારકણા (ઉ.વ.43) નામના યુવાને પોતાના ધંધા માટે કેટલાક સમય પહેલાં મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેનું દર મહિને દસથી બાર ટકા જેટલું લાલજીભાઈ વ્યાજ ચૂકવતા હતા.
તે પછી આર્થિક સંકળામણમહ ના કારણે લાલજીભાઈ વ્યાજ ચૂકવી નહિ શકતા ધર્મેશ રાણપરીયા એ તેઓના કારખાને જઈ બ્રાસપાર્ટ બનાવવાના કેટલાક મશીનો બળજબરીથી મેળવી લીધા હતા. આટલેથી ન અટકી લાલજીભાઈનું અપહરણ કરી તેઓને લોઠીયા ગામમાં લઈ જવાયા હતા. જ્યાં વીસેક દિવસ સુધી આ યુવાનને ગોંધી રાખવામાં આવ્યા હતા.
તેઓની પાસે વ્યાજ તથા મુદ્દલ બળજબરીથી કઢાવવા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે ઉપરાંત લાલજીભાઈએ અન્ય વ્યક્તિ જેઠાભાઈ હાથલીયા પાસેથી પણ વ્યાજે પૈસા લીધા હતા. તેઓ પણ વ્યાજની ઉઘરાણી કરી રૂૂબરૂૂ અને ફોનમાં ધમકીઓ આપતા હતા. ઉપેન્દ્ર ચાંદ્રા નામના શખ્સ પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે પૈસા મેળવ્યા હતા. તેનું વ્યાજ ન આપી શકાતા ઉપેન્દ્રએ લાલજીભાઈની મોટર લઈ લીધી હતી.
તે ઉપરાંત કિરીટ ગંઢા તથા હરીશ ગંઢા નામના શખ્સો પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. આ શખ્સોને પણ વ્યાજ ન આપી શકાતા લાલજીભાઈના ભાણેજ સામે કેસ કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત પાંચેય વ્યક્તિએ અંદાજે રૂૂ. 30 લાખ લાલજીભાઈને વ્યાજે આપ્યા હતા.
અને તેની સામે લાલજીભાઈએ રૂા. 40 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં આ વ્યક્તિઓ વ્યાજ તેમજ મુદ્દલ કઢાવવા બળજબરી કરતા હોવાથી માનસિક ત્રાસ અનુભવતા લાલજીભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉપરોક્ત બનાવની તેમના પત્ની સુધાબેને પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. જેથી પીઆઈ એન.એ. ચાવડા એ બઅલગ અલગ કલમો હેઠળ ધર્મેશ મુળજી રાણપરીયા, જેઠાભાઈ હાથલીયા, ઉપેન્દ્ર ચાંદ્રા, હરીશ ગંઢા, કિરીટ ગંઢા સામે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.
