ગાંઠીયા તળવાના ઝારા લઇને એકબીજા ઉપર તૂટી પડયા
રાજકોટ શહેરમા ખાણીપીણીની લારી ચલાવતા ધંધાર્થીઓ માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ સ્થળો પર હોકર્સ ઝોન જાહેર કરવામા આવ્યા છે. આમ છતા અમુક ધંધાર્થીઓ દ્વારા જાહેર માર્ગો પર વાહન ચાલકોને નડતરરુપ બને તે રીતે લારી રાખી ધંધો કરતા હોય છે. આવા ધંધાર્થીઓ સામે મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખા આંખ મીચામણા કરી રહી છે અને ધંધાર્થીઓને માત્ર મૌખીક સુચના આપતી હોય છે. ત્યારે આજે સવારનાં સમયે રાજકોટની સિવીલ હોસ્પીટલ સામે જાહેર માર્ગ પર ગાઠીયાની લારી ધરાવતા બે ધંધાર્થીઓ વચ્ચે લારી રાખવા મામલે અને ધંધાની હરીફાઇમા જાહેરમા બઘડાટી બોલી હતી.
આ ઘટનામા રેલનગરમા આવેલા આસ્થા ચોકમા રહેતા હરદેવસિંહ બાલુભા રાઠોડ (ઉ.વ. 30 ) અને તેમનાં પત્ની મંછુબા પર ગાઠીયા તળવાનાં ઝારા વડે જાહેરમા હુમલો થયો હતો. જાહેરમા મારામારી થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ મામલે ઘવાયેલા મંછુબાએ જણાવ્યુ હતુ કે આરોપીઓ છેલ્લા ઘણા સમયથી લારી રાખવા મામલે અને ધંધાની હરીફાઇ મામલે માથાકુટ કરી રહયા હતા . આ ઘટના બાદ કોઇએ 112 મા કોલ કરતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી. અને બંને પક્ષને પોલીસ સ્ટેશને લઇ જવામા આવ્યા હતા. આ અંગે ફરીયાદ નોંધાઇ રહી હોવાનુ પોલીસ સ્ટેશનમાથી જાણવા મળી રહયુ છે.
