દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા સમા દિલાવરભાઈ મજીદભાઈ પર જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટરના ભાડા કરાર અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. બી.એન.એસ.ની કલમ-318 (4) અને 54 મુજબ નોંધાયેલા આ ગુનામાં ટ્રેક્ટર અને રોટાવેટર મળીને કુલ રૂૂ. 48,30,071 ની રકમની છેતરપિંડીનો આરોપ સરકાર પક્ષે મૂકવામાં આવ્યો હતો.
આ કેસની મૂળ એફ.આઇ.આર.માં આરોપીનું નામ ન હતું, પરંતુ અન્ય સહ-આરોપીના નિવેદન પરથી તેમનું નામ ઉમેરવામાં આવ્યું હતું. ધરપકડની દહેશત હોવાથી આરોપીએ ધોરાજીની ત્રીજા એડીશ્નલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસમાં આરોપીનો બચાવ કરવા માટે ઉપલેટાના યુવા એડવોકેટ અંકિતભાઈ એમ. ચાવડા તથા એડવોકેટ નિરવભાઈ કે. શુકલ રોકાયેલ હતા. તેઓએ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીનો એફ.આઇ.આર. કે ચાર્જશીટમાં કોઈ રોલ નથી અને ખોટી રીતે નામ આપવામાં આવ્યું છે.
બીજી તરફ, સરકાર પક્ષે તપાસ બાકી હોવાનું જણાવી આરોપીને જામીન આપવાનો વિરોધ કર્યો હતો અને અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી ત્યારે બંને પક્ષના વકીલોની દલીલો અને વડી અદાલતના ચુકાદાઓ સાંભળ્યા બાદ, કોર્ટે બચાવ પક્ષના એડવોકેટ અંકિતભાઈ ચાવડા અને નિરવભાઈ શુકલની રજૂઆતો ધ્યાને લીધી હતી. આ બાબતમાં અદાલતે આરોપી સમા દિલાવરભાઈ મજીદભાઈની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે અને રૂૂ. 20,000 ના જામીન તથા જાતમુચરકા પર શરતોને આધીન મુક્ત કરવાનો હુકમ જજ એ.એમ. શેખ દ્વારા ફરમાવ્યો છે.
