રસ્તા-પાણી-ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો અંગે રજૂઆત
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નં.16ના નીલકંઠ સિનેમા, મેહુલ નગર વિસ્તારમાં કોંગ્રેસની ટીમ દ્વારા વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈ ખુલ્લેઆમ પોતાની સમસ્યાઓ, પ્રશ્નો અને અપેક્ષાઓ વ્યક્ત કરી કોંગ્રેસને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
જનસંપર્ક દરમિયાન લોકોએ વધતી મોંઘવારી, યુવાનોમાં બેરોજગારી, પાણી પુરવઠાની અનિયમિતતા, ખાડાવાળા રસ્તાઓ, ટ્રાફિક સમસ્યા, સામાન્ય લોકો ને ટેક્સ માટે હેરાન કરવા,સ્થાનિક વહીવટની નિષ્ક્રિયતા જેવા ગંભીર મુદ્દાઓ ઉપર અસંતોષ વ્યક્ત કર્યો હતો. નાગરિકોએ જણાવ્યું હતું કે વર્તમાન સત્તાધીશો જનતાની અવાજ સાંભળવામાં નિષ્ફળ રહ્યા છે. આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,જનતા આજે જવાબ માંગે છે અને કોંગ્રેસ તે જવાબ મેળવવા માટે રસ્તા પરથી લઈ તંત્ર સુધી સંઘર્ષ કરશે. નીલકંઠ સિનેમા પાસે, મેહુલ નગર સહિત સમગ્ર વોર્ડમાં લોકોનો પ્રતિસાદ સ્પષ્ટ સંદેશ આપે છે કે જનતા હવે બદલાવ ઈચ્છે છે.
કોંગ્રેસ જનતાની સાથે છે અને તેમની લડતને લોકશાહી રીતે આગળ વધારશે.આ જનસંપર્ક કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ અને જનતા વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બન્યો છે. વોર્ડ નં. 16 નીલકંઠ સિનેમા ના વિસ્તારમાં મળેલા ઉત્સાહજનક પ્રતિસાદથી સ્પષ્ટ થાય છે કે લોકો કોંગ્રેસ સાથે ઉભા છે અને પોતાના હક્કો માટે સંગઠિત થવા તૈયાર છે. જનતાની વેદનાને અવાજ આપવા અને જવાબ દારી નિભાવવામાં કોંગ્રેસ સતત મેદાનમાં રહેશે.
વોર્ડ નંબર 16 માં જનસંપર્ક દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા, સુરેશભાઈ ગરૈયા, રસીલાબેન ગરૈયા, દિપ્તીબેન સોલંકી, ઇબ્રાહીમભાઇ સોરા, રહીમભાઈ સોરા, મનોજભાઈ ગઢવી, સિકંદરભાઈ ડાકોરા, બુખારી બાપુ, અફઝલભાઈ મેતર, તુષારભાઈ ગરૈયા, ઉમરભાઈ સોરા, રમેશભાઈ ગરૈયા, કમલેશભાઈ વેકરીયા, અભય ભાઈ ગરૈયા, જયદીપ મયાત્રા, ઉપસ્થિત રહ્યા હતા.
