ઉતરાયણના દિવસે પતંગ ચગાવતી વેળાએ નીચે પડવાથી અને વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યાની બનતી હોય છે. ત્યારે ગઇકાલે શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં સોમનાથ વે બ્રીજ પાસે આવેલા એક કારખાનામાં છત પર પતંગ ચગાવતી વેળાએ શ્રમિક પરિવારના આઠ વર્ષના બાળકનું નીચે પટકાતા મોત નિપજ્યુ છે. આ ઘટનામાં આજીડેમ પોલીસના સ્ટાફે જરૂરી કાગળો કર્યા હતા.
વધુ વિગતો મુજબ કોઠારિયા સોલવન્ટ પાસેના સોમનાથ વે બ્રીજની બાજુમાં જીઆઇડીસીમાં આવેલી કંપનીના છત પર અંશ જુગલેશભાઇ (ઉ.વ.8)નામનો બાળક ગઇકાલે સાંજે પાંચ વાગ્યે પતંગ ચગાવતો હતો. ત્યારે અચાનક છત પરથી નીચે પટકાતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં આજીડેમ પોલીસને બનાવની જાણ થતા પોલીસે જરૂરી કાગળો કરી અને મૃતદેહનુ પીએમ કરાવ્યુ હતું. બાળકના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
