ભાણેજની હોળીની વાડનો પ્રસંગ પૂરો કરી પરત ફરતા મામા ઉપર કાળ ત્રાટકયો
રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુરના નવાગઢ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ બસ અને માછલી ભરેલા ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ટ્રેલર રોડની નીચે ખાબક્યું હતું. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા એક નિર્દોષ બાઈક ચાલક તેમજ ત્યાં ઉભેલા એક વ્યક્તિ ટ્રેલર નીચે કચડાઈ જતા બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના અંગો શરીરથી અલગ પડી ગયા હતા.મૃતકોની ઓળખ ભાભલુભાઈ વાસુરભાઈ લાલુ (ઉ.વ. 45, સરધારપુર જેતપુર) અને કરણ નિલેશભાઈ દાણીધારીયા (ઉ.વ. 22, ગોંડલ) તરીકે થઈ છે.
જાણવા મળે છે કે ગોંડલનો યુવાન કરણ પોતાની ભાણેજની ‘હોળીની વાડ’નો પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. અગાઉ પિતાને ગુમાવી ચૂકેલા પરિવારમાં હવે એકમાત્ર ભાઈના મોતથી બે બહેનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
