ઘંટેશ્વર 25 વારિયા વિસ્તારમાં હત્યાના બનાવમાં આરોપીને એલસીબી ઝોન-2ની ટીમે દબોચી લીધો
શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારીયા વિસ્તારમાં ગાળો બોલવાના મામલે એક યુવાનની થયેલી ઘાતકી હત્યામાં સંડોવાયેલા શખ્સને ઝોન-2 એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સ ગાંધીગ્રામ પોલીસમાં અગાઉ 8 જેટલા ગુન્હા માં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘંટેશ્વર 25 વારીયા વિસ્તારમાં સાંજે માધાપર પાસેના મનહરપુર ગામના રહેવાસી વિજય ચુનીભાઈ સોલંકી (ઉ.વ.30) નામના દેવીપૂજક યુવાનની ગળાના ભાગે છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ તેમજ ગાંધીગ્રામ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ હત્યામાં ધર્મેશ રમેશભાઈ ગાયજનની સંડોવણી ખુલી હતી.
એલસીબી ઝોન-2 ની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને હત્યાના આરોપી ધર્મેશ રમેશભાઈ બ્રાહ્મણ ને પૂછપરછ માટે સકંજામાં લઈ લીધો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક વિજય સોલંકીએ જૂના મનદુ:ખના કારણે આરોપી ધર્મેશ ગાળો બોલતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં ઉશ્કેરાઈને ધર્મેશે છરીના ઘા ઝીંકી વિજયની હત્યા કરી નાખી હતી. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઇ, પીએસઆઈ આર.એચ.ઝાલા સાથે ટીમના એસ.એસ.આઇ. જે.વી.ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા, શીવભદ્રસિંહ બાપાલાલ, અનીલભાઇ જીલરીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નીમાવત, અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.વી.જાડેજા, શબ્બીરભાઇ, મસરીભાઇ, ભવદીપસિંહ ગોહિલે કામગીરી કરી હતી.
