લોધિકાના રાવકી નજીકનો બનાવ: યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં ઘેરો શોક
શહેરની ભાગોળે મવડી બાયપાસ નજીક રાવકી પાસે ખૂંટીયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થઇ જતા ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતા યુવાનનું ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગર-14માં રહેતો નવીનભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.વ.26) નામનો યુવાન રાતે દસેક વાગ્યે લોધીકાના રાવકી ગામમાં આવેલા મામા સાહેબના મંદિર નજીક વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નવીનભાઇ બે ભાઇમાં મોટો હતો. સંતાનમાં એક દિકરો છે અને પોતે કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મિત્રના કહેવા મુજબ નવીનભાઇ કોઇ કામ સબબ એકટીવા લઇને રાવકી ગામે ગયો હતો. ત્યાં રોડ પર અચાનક ખુંટીયો આવી જતાં તેની સાથે અથડાઇને એક્ટીવા સ્લીપ થઇ ગયું હતું. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
