જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહીને ખેતી કામ કરતા એક ખેડૂત યુવાને પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના મેલાણ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા માંડાભાઈ ગલાભાઈ છેલાણા નવના 42 વર્ષના રબારી જ્ઞાતિના ખેડૂત યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના ભાઈ પાંચાભાઇ ગલાભાઈ છેલાણા એ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા ના પોલીસ હેડ કોસ્ટેબલ બી.પી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવાન છેલ્લા ચાર પાંચ વર્ષથી માનસિક બીમારી થી પીડાતા હતા, અને તેની દવા ચાલુ હતી. તે દવા લેવા છતાં સારું નહીં થતાં પોતાની જિંદગીથી તંગ આવી જઈ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
