પત્ની અને પુત્ર કામ પર ગયા બાદ પાડોશી દૂધ દેવા આવતા મૃતદેહ લટકતો’તો
શહેરમા મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા આધેડે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પુત્ર અને પત્ની કામ પર ગયા બાદ પાડોશી દૂધ દેવા આવતા આધેડનો મૃતદેહ લટકતો જોતા મળતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા મનસુખભાઈ મોહનભાઈ સીતાપરા નામના 50 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર પતરાના એંગલમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનસુખભાઈ સીતાપરા ચાર ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા. અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પત્ની અને પુત્ર કામ પર ગયા બાદ મનસુખભાઈએ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલોસે નોંધ કરી આધેડના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.
