તાવના કારણે મગજમાં ગાંઠ થઈ જતાં ઓપરેશન કરાવ્યા બાદ પરિણીતાએ સારવારમાં દમ તોડ્યો
શહેરમાં ભર ઉનાળે માવઠુ પડવાથી મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો વકરી રહ્યો છે ત્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણીતા અને કિશાનપરમાં રહેતાં પ્રૌઢને તાવ ભરખી જતાં બન્નેના મોત નિપજ્યા હતાં.
જાણવા મળતી વિગત મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીમાં રહેતી ઋત્વીકા શનિભાઈ સોલંકી (ઉ.22) નામની પરિણીતા હાલમાં મોટાદડવા ગામે તેના માવતરે હતી.
દરમિયાન તેને તાવનું ઈન્ફેકશન લાગતાં મગજમાં ગાઠ થઈ ગઈ હતી જેથી તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાદમાં તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિં તેને હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું. આ બનાવથી એકની એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જ્યારે બીજા બનાવમાં કિશાનપરા વિસ્તારમાં રહેતાં અને પેટ્રોલ પંપમાં કામ કરતાં યોગેશભાઈ નારણભાઈ થરેશા (ઉ.45) નામના પ્રૌઢનું તાવની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
