રાજકોટ
હૃદયરોગનો હુમલો વધુ બે જિંદગી ભરખી ગયો
અરિહંતનગરમાં યુવાન અને સદ્ભાવના વૃધ્ધાશ્રમના વૃદ્ધના હાર્ટ બેસી જતાં મોત
રાજકોટ સહીત રાજયભરમાં હાર્ટએટેકના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં અરિહંતનગરમાં યુવાન અને સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નીપજતા બંને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા અરિહંતનગરમાં રહેતા હિરેન અશોકભાઈ કામાણી નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક હિરેનભાઈ કામાણી એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો અને અપરિણીત હતો.
જયારે બીજા બનાવમા રાજકોટમાં ગોંડલ રોડ ઉપર સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા હરિભાઈ મુળજીભાઈ નાગાણી નામના 80 વર્ષના વૃદ્ધને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત
ST વર્કશોપ પાછળ મંજૂરી વગર ચાલતા ધો.9,10ના વર્ગો
ખોડિયારનગર-12માં આવેલી શાળામાં ધમધમતું ગેરકાયદે શિક્ષણકાર્ય: ડીઇઓ અને ગાંધીનગર સુધી થયેલી અરજી
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી શાળા તાજેતરમાં જ ઝડપાઇ છે ત્યારે શહેરમાં પણ નકલી શાળા ધમધમતી હોવાની અરજી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને છેક ગાંધીનગર સુધી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
અમારા વિસ્તાર ખોડીયારનગર એસ. ટી. વર્કશોપ મસ્જીદની બાજુમાં રાજકોટ ખાતે આવી નકલી શાળા ચાલે છે. આ શાળાને ધો. 1 થી 8 ની એક-એક વર્ગની મંજુરી છે. આ શાળાને ધો. 9 અને ધો. 10ની મંજુરી નથી જ એવું જાણવા મળ્યુ છે. અને છેલ્લા કદાચ 10 વર્ષથી ધો. 9 અને 10ના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરીને પ્રવેશ આપવામાં આવે છે તેવો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જેના નામ અન્ય શાળામાં ચલાવવામાં આવે છે ધો. 10 પાસ કર્યા પછી વગેરે ગ્રાન્ટેડ શાળાઓના એલ. સી. આપવામાં આવે છે તેવું પણ અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી આધાર-પૂરાવાઓ સાથે જાણવા મળ્યુ છે. તટસ્થતાથી આ અંગે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ ખુલી શકે તેમ છે.
અમો આ વિસ્તારના જાગૃત નાગરીકો છીએ આ શાળામાં ધો. 9 અને 10ના અંદાજે 150 વિદ્યાર્થીઓ અન્ય શાળામાં નામ ચલાવીને ભણાવવામાં આવે છે તેવું આધાર-પુરાવાઓ સાથે અમને જાણવા મળ્યુ છે. આ ઉપરાંત 1 થી 8માં પણ ઓછી મંજુરી હોય તો પણ લગભગ 1000 વિદ્યાર્થીઓની આસપાસ આ શાળામાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવે છે. શાળામાં કોઈપણ જાતની એનઓસી લીધા વગર વિદ્યાર્થીઓના જીવના જોખમે ઘેટા-બકરાની જેમ બેસાડીને ભણાવવામાં આવે છે. પાયાની પ્રાથમિક સુવિધાઓનો પણ આ ખોડીયારનગર-12, એસ. ટી. વર્કશોપ પાછળ આવેલ સ્કૂલમાં અભાવ જોવા મળે છે. આ સાથે આ બોગસ સ્કૂલે રાજકોટના વિવિધ વિસ્તારોમાં જાહેરાત સંદર્ભે બોર્ડ પણ લગાવવામાં આવ્યો હોવાની અરજી જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવી છે.
અરજી મુજબની હકીકત સામે આવશે તો સીલ મારશું: ડીઇઓ
નકલી શાળા બાબતે ડીઇઓ કચેરીમાં અરજી બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે હું અરજીની જાણકારી મેળવી લઉ છું અને તપાસના આદેશ પણ આપવામાં આવશે. જો અરજી મુજબની હકિકત સામે આવશે તો શાળા સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો